નક્સલીયો હિંસા છોડે તો જ મંત્રણા : ચિદમ્બરમ

કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું છે કે નક્સલ વિરોધી અભિયાનનો ઉદ્દેશ્ય કોઈનો જીવ લેવાનો નથી. તેઓ અમારા પોતાના જ લોકો છે. પરંતુ તેઓ હિંસા મૂકીને વાત કરવા તૈયાર થાય તો સરકાર જરૂર તેમની સાથે બેસીને ચર્ચા વિચારણા કરશે.
અત્રે મળેલ નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત મિટિંગમાં ચિદમ્બરમે માઓવાદીઓને ઉદ્દેશીને કહ્યું હતું કે જો તેઓ આક્રમક વલણ ત્યજીને અહિંસાનો માર્ગ અપનાવે તો અમે જરૂર વાત કરીશું. પરંતુ જો તેઓ હિંસાત્મક માર્ગ જ અખત્યાર કરશે તો તેમને ડામવાના દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમજ ઝારખંડના મુખ્યમંત્રી સીબુસોરેને નક્સલ પ્રભાવિત રાજ્યો માટે મળેલ બેઠકમાં ગેરહાજર રહી મિટિંગનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે બિહાર અને ઝારખંડ દેશના સૌથી વધારે નક્સલ પ્રભાવિત રાજ્યોમાંના એક છે.










