બોપલ- ઘુમા રોડ બંધ કરતાં ગામવાસીઓ પરેશાન
અમદાવાદના વિકાશીલ વિસ્તાર એવા બોપલ-ઘુમા તરફ જતા માર્ગને ઇસ્કોન ચાર રસ્તા નજીક એસ-જી હાઇવે પર ચાલતા રોડના કામને લીધે બંધ કરાતાં બોપલ , ઘુમા, આંબલી તથા મનીપુર વિસ્તારના લોકો પરેશાન થઇ ગયા હતા. કેમકે રોજ સવાર પડતાંની સાથેજ હજારો વાહનચાલકો પોતાના વાહનો લઇ ઇસ્કોન ચાર રસ્તે થઇને શહેરમાં પ્રવેશતા હોય છે.
પરંતુ છેલ્લા કેટલાય સમયથી એસ- જી હાઇવેની પહોળાઇ વધારવાનું કામકાજ ચાલી રહ્યું છે જેમાં ઇસ્કોન ચાર રસ્તા પાસેનું કામકાજ ગઇકાલે મોડી રાત્રિથી શરૂ કરવામાં આવ્યું હોવાથી આ રસ્તો વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે.
રોજ સવારે અને સાંજે પાંચેક વાગ્યથી આઠ વાગ્યા સુધી કદાચ શહેરના સૌથી બીઝી રોડ એવા આ શહેરથી બોપલ ઘુમા તરફ જતો રસ્તો બંધ થઇ જતાં વાહનચાલોકો માટે મુશ્કેલી સર્જાઇ હતી. સવારે કામ ધંધે કે ઓફિસે જવાની ઉતાવળમાં આવતા વાહન ચાલકોને બંધ રસ્તો જોઇ નિસાસો પડતો હતો.
જોકે શહેરમાં જવા માટે રાજપથ કલબ વાળો રસ્તો અને તેના પરથી હાઇવે પર યુ-ટર્નની તથા બોપલ કે ઘુમા જવા વાહનચાલકો માટે કર્ણાવતી કલબ નજીકથી યુ-ટર્ન લઇ જવાની હાઇવે ઓથોરીટીના અધિકારીઓએ વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું .
આ વ્યવસ્થાને લીધે વાહનચાલકો પોતાની મંજીલ તરફનો રસ્તો તો મળતો હતો પરંતુ આ ડાયવર્ઝનને કારણે પીક અવર્સમાં મોટરસાયકલો, રીક્ષા, કાર , બસ તથા એએમટીએસની બસોનો ધસારો વધી જતાં ટ્રાફિક જામ થઇ જવાની સમસ્યાઓ સર્જાઇ હતી.










