સ્ટાર પુત્ર તરીકે ફાયદો થયો જ છે : અભિષેક
મારા દાદા હરિવંશરાય બચ્ચન કહેતાં કે, તમે કેટલી વાર પડ્યાએ મહત્વનું નથી, પણ તમે કેટલી વાર ઊભા થયા એ મહત્વનું છે. એમ વડોદરાના મહેમાન બનેલાં એબી બેબી અભિષેક બચ્ચને જણાવ્યું હતું. જો કે, શાહરૂખ - ઠાકરે વિવાદ અંગેના પ્રશ્નનો ચોક્કસ જવાબ આપવામાંથી સિફતપૂર્વક છટકી ગયો હતો.
ટીવી ગેમ શોના શુટિંગ માટે વડોદરા આવેલા અભિષેક બચ્ચને આજે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, આ એવો ગેમ શો છે જે તમે ઘરે બેઠા રમી શકો છો. વળી ટેલિવિઝન એ લોકો સુધી પહોંચવાનું ખૂબ જ સારું માઘ્યમ છે.
શિક્ષણના ભારથી આપઘાત કરી લેતાં વિદ્યાર્થીઓને સલાહ આપતા અભિષેકે જણાવ્યું કે, જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્વ છે. પણ જીવનમાં આવતા તમામ પડકારોને ઝીલતા શીખવું જરૂરી છે. મારા દાદા કહેતા કે, તમે કેટલી વાર પડ્યા એ મહત્વનું નથી, પણ તમે કેટલી વાર ઊભા થયા એ મહત્વનું છે.
બોલીવુડના મહાનાયકના પુત્ર તરીકે તમને શું ફાયદો થયો અને કેવી મૂશ્કેલી પડી એ પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું કે, કોઇ પણ ક્ષેત્રમાં સૌથી મહત્વની બાબત મહેનત છે. જો હું ‘પા’ સાથે સરખામણી કરવા જાઉ તો એ શક્ય નથી. અને આવું કરવામાં મારું ઘ્યાન બીજે ફંટાઇ જશે.
પણ હા એ વાત હું સ્વીકારું છું કે, સ્ટાર પુત્ર તરીકે ફાયદો તો થયો જ છે. પણ એ તો દરેક ક્ષેત્રમાં છે બિઝનેસ મેનનો પુત્ર જો બીઝનેસ મેન બને તો તેને ફાયદો તો થાય જ. પણ આ નામ માત્ર પહેલા શો પુરતું જ હોય છે.પછી તો તમારે તમારી જાતને સાબિત કરવી પડે.
જ્યારે શાહરૂખ મુદ્દે વાત કરતાં તેણે જણાવ્યું કે, હું અભિનેતા છું અને મારું કામ લોકોને મનોરંજન આપવાનું છે. મારે જે કહેવું હતું એ મેં કહી દીધુ. પણ જો મીડિયા રિર્પોટીંગને બદલે સપોર્ટિંગ રહે તો ઘણાં પ્રશ્નો હલ થઇ શકે છે.











