સ્વામી દયાનંદના વિચારોથી જ વિશ્વભરમાં શાંતિ શક્ય છે
ગાંધીનગર આર્યસમાજમાં ‘યુગ દ્રષ્ટા-યુગ સૃષ્ટા’ ફિલ્મ રજૂ થઈ
સ્વામી દયાનંદજીના વિચારોને અપનાવ્યા વગર વિશ્વમાં શાંતિની સ્થાપના ન થઇ શકે, એમ વાનપ્રસ્થ સાધક આશ્રમ-રોજડના આચાર્ય જ્ઞાનેશ્વરજીએ સોમવારે આર્ય સમાજ-ગાંધીનગર ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન પર આધારિત ફિલ્મનું ઉદ્ઘાટન કર્યા બાદ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પ્રથમવાર મહર્ષિ દયાનંદજીના જીવન પર આધારિત ફિલ્મ રજૂ થઇ હતી.
મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૧૮૬મા જન્મોત્સવ નિમિત્તે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના તત્વાવધાનમાં આર્ય સમાજ-કાંકરિયાના સૌજન્યથી અને ટંકારા ટ્રસ્ટ દ્વારા આ ફિલ્મનું નિર્માણ થયું છે. આ પ્રસંગે ધારાસભ્ય શંભુજી ઠાકોર, ધારાસભ્ય આત્મારામ પરમાર, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રધાન સુરેન્દ્રચંદ્ર અગ્રવાલ, મહામંત્રી પરશુરામ આર્ય, ચંદુલાલ અગ્રવાલ, ‘દિવ્ય ભાસ્કર’ના સીઓઓ અને મેનેજિંગ એડિટર જગદીશ શર્મા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય જ્ઞાનેશ્વરજીએ જણાવ્યું કે મહર્ષિ દયાનંદજીએ દેશમાં અનેક કાર્યો કર્યાં છે. બાળવિવાહના વિરોધની સાથે વિધવાવિવાહનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે ‘કણ્વન્તો વિશ્વ આર્યમ્’ - સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવો. જ્યાં સુધી એકેશ્વરવાદ નહીં આવે ત્યાં સુધી દેશનો ઉદ્ધાર નહીં થાય. મહર્ષિ દયાનંદજીને સમજવા માટે તેમના વિચારોને સમજવા પડશે.
ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રધાન સુરેન્દ્રચંદ્ર અગ્રવાલે જણાવ્યું કે આપણે વેદ તરફ પાછા વળવું પડશે. કેમ કે વૈદિક સંસ્કતિથી જ વિશ્વકલ્યાણ શકય છે. વૈદિક સંસ્કૃતિ પાસે વ્યકિતગત, પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય સમસ્યાનો ઉકેલ છે. ‘દિવ્ય ભાસ્કર’ના સીઓઓ અને મેનેજિંગ એડિટર જગદીશ શર્માએ જણાવ્યું કે આપણું જીવન બે ભાગમાં વહેંચાયેલું છે.
એક ભાગ આપણા હાથમાં નથી અને બીજો ભાગ જે આપણા હાથમાં છે તેના થકી આપણે આત્મકલ્યાણ અને અઘ્યાત્મ તરફ આગળ વધવું જોઈએ. મહર્ષિ દયાનંદજીના જીવનમાંથી સંવેદનશીલતા, દ્રઢ સંકલ્પવાન અને પૂર્વાગ્રહ વગર હંમેશાં બદલાવા તૈયાર રહેતાં શીખવું જોઈએ. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આર્ય સમાજનાં ભાઈ-બહેનોએ ફિલ્મ નિહાળી હતી.
રાજ્યમાં પ્રથમવાર દયાનંદજીના જીવન અંગેની ફિલ્મ રજૂ થઈ
ગુજરાતમાં પ્રથમવાર મહર્ષિ દયાનંદજીના જીવન પર આધારિત ફિલ્મ ‘યુગ દ્રષ્ટા-યુગ સૃષ્ટા’ રજૂ થઇ હતી. તેના ડાયરેકટર સુભાષ અગ્રવાલે જણાવ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોને ફેલાવવા માટે આ ફિલ્મનું પ્રદર્શન દેશમાં થઇ રહ્યું છે. જેમાં ગુજરાતના ગાંધીનગરમાં રજૂ થઇ તે પહેલાં આ ફિલ્મ લુધિયાણા, મુંબઇ અને ઇન્દોર ખાતે રજૂ કરાઇ હતી. જેમાં મહર્ષિ દયાનંદજીના જન્મથી મૃત્યુપર્યંતની ઘટના આવરી લેવાઇ છે.












