ચીનમાંથી સુરતના એક હીરા વેપારીએ ધંધો સમેટી લીધો
ચાઇનાના હીરાઉધોગને હજુ પણ મોટા ફટકા પડવાની શક્યતા
ચીનના સેન્ઝેનમાં હીરાની ડ્યૂટીચોરી કેસમાં ૨૧ ભારતીય નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા બાદ સુરતના હીરાઉધોગકારોનું મન ચીન પરથી ઊઠી ગયુ છે, શહેરના હીરાના એક મોટા વેપારીએ તો પોતાનો વેપાર ચીનમાંથી સમેટી પણ લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ માટે વેપારીઓનું કહેવું છે કે ડ્યૂટીચોરીના નામે ભારતીય વેપારીઓને રંજાડવામાં આવી રહ્યાં છે. આવનારા દિવસોમાં હજી વધારે યુનિટો બંધ થાય તેવી પણ સંભાવના જોવાઇ રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ચીનના સેન્ઝેનમાં હીરાની ડ્યૂટી ચોરી કેસમાં ૨૧ ભારતીય નાગરિકો ઝડપાઇ જતાં સમગ્ર હીરા ઉધોગમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ ચીનની સરકાર દ્વારા કડક વલણ અપનાવીને ભારતમાંથી ચીનમાં કારોબાર કરનારા વેપારીઓ ઉપર કડક અંકુશો દાખવવાનો ઇશારો કરતાં ચીનમાં રોકાણ કરનારા ભારતીય ઉધોગકારો દ્વારા ત્યાંથી ઉચાળા ભરવાની શરૂઆત કરવામાં આવી છે.
શહેરના એક જાણીતા હીરાના વેપારી દ્વારા ચીનમાંથી પોતાનો કારોબાર આટોપી લેવામાં આવ્યો છે. પંદર દિવસ પહેલાં પોતાનું ચીન ખાતેનું યુનિટ બંધ કરી દેવામાં આવ્યું છે.
હીરાની ડ્યૂટી ચોરી પ્રકરણમાં જે પ્રકારે ચીન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે તેના કારણે ચીનમાં રોકાણકારો ઉચાળા ભરશે એવી દહેશત વર્તાઇ રહી હતી. આ દહેશત હવે સાચી પડી રહી છે અને મોટા ગજાના એક હીરા ઉધોગકાર દ્વારા પારોઠનાં પગલાં ભરવામાં આવતાં આગામી દિવસોમાં હીરાના અન્ય વેપારીઓ દ્વારા પણ ચીનમાંથી પોતાનો કારોબાર સંકેલી લેવામાં આવશે એવી શકયતાઓ જોવામાં આવી રહી છે.












