બી.કે. હરિપ્રસાદ સામે કોંગ્રેસમાં કચવાટ,સોનિયાને રાવની તૈયારી
સુરતના મહિલા કોંગ્રેસના સંમેલનમાં ભાગ લેવા રવિવારે સુરત આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના ઇનચાર્જ બી.કે. હરિપ્રસાદે આખો દિવસ પાર્ટીના એક જ જૂથને મહત્ત્વ આપતાં કચવાટ ફેલાયો હતો. સોમવારે થયેલી એક બેઠકમાં પણ આ વિશે ચર્ચા થઈ હતી.
કોંગી આગેવાન બાબુ રાયકાના ઘરે સોમવારે પાર્ટીના નેતાઓની એક બેઠક મળી હતી જેમાં કદીર પીરજાદા જૂથના લોકો મળ્યા હતા. જૂથના એક સિનિયર નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સોમવારે મળેલી બેઠકમાં પાર્ટીના આગામી કાર્યક્રમો ઉપરાંત બી.કે. હરિપ્રસાદ મુદ્દે ચર્ચા પણ કરાઈ હતી. કદીર જૂથના મોટા ભાગના નેતાઓને હરિપ્રસાદના સુરતના કાર્યક્રમની વિધિવત જાણ કરાઈ ન હતી. તેઓ સવારે જવાહર જૂથના લોકોને મળ્યા હતા અને તેમના જૂથને લઇને જ આખો દિવસ ફર્યા હતા.
એક બીજા નેતાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરના કોઇ નેતા સુરતમાં આવે અને કોઇ ચોક્કસ જૂથને પ્રાધાન્ય આપે તો કચવાટ સ્વાભાવિક છે. જોકે, મહિલા સંમેલનમાં તમામ હાજર રહ્યાં હતા. કદીર જૂથને આ અવગણના પચી ન હતી અને તેની વિરુદ્ધ હાઈકમાન્ડને ફરિયાદ કરવા સુધીની ચર્ચા બેઠકમાં કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જોકે, બીજી બાજુ જવાહર જૂથના નેતાઓ કહે છે કે કદીર જૂથના એક મોટા નેતા હરિપ્રસાદની સાથે જ રાજધાની ટ્રેનમાંથી સવારે ઊતર્યા હતા પરંતુ તેમની તેમણે અવગણના કરી હતી. તે પછી તેઓ સર્કિટ હાઉસ પર જે આવ્યું તેને મળ્યા હતા. તેમણે પાર્ટી કાર્યાલય ખાતે પણ લગભગ એકથી દોઢ કલાકનો સમય વિતાવ્યો હતો જયાં તે બધા ને મળ્યા હતા. જો કોઇ તેમને મળવા ઇચ્છતું ન હોય તો તે શું કરી શકે?












