સ્વાઈન ફલૂને કન્ટ્રોલ કરવો મુશ્કેલ
સમગ્ર સૌરાષ્ટ્રને હચમચાવી રહેલો સ્વાઈન ફલૂ ભયાનક બનતા આરોગ્યતંત્ર લાચાર બન્યું છે અને સ્થિતિને પહોંચી વળવા શું કરવું તે અંગેની મથામણ હાથ ધરી છે. સ્વાઈન ફલૂ ચેપીરોગ હોઈ દર્દી અન્યને રોગ આપી રહ્યો હોઈ રોગને કાબુમાં લેવા તંત્ર પાસે કોઈ ઉપચાર રહ્યો નથી.
તબીબોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સ્વાઈન ફલૂનો પ્રથમ કિસ્સો દેશમાં મળી આવ્યો ત્યારે તંત્રે એ દર્દી જેને મળ્યો હોઈ એવા તમામ વ્યકિતઓને વોચમાં લઈ સારવાર કરી હોત તો આ રોગ ત્યાં જ અટકી જાત તેમજ એરપોટર્ પર તત્કાલીન સમયે મુસાફરોની ચકાસણી આવશ્યક હતી. પરંતુ હવે વાયરસ ફેલાઈ ગયા છે ત્યારે આ રોગને કન્ટ્રોલ કરવો અશકય છે.
કોઈ વ્યકિતને સ્વાઈન ફલૂ લાગુ પડે ત્યારથી આઠેક દિવસ સુધી તે તેની નિકટ આવનાર વ્યકિતને રોગ આપી શકે છે. પ્રવર્તમાન સ્થિતિમાં દરરોજ સ્વાઈન ફલૂના દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે આગામી દિવસોમાં તેનો ફેલાવો વધુ ઝડપી થવાની દહેશત છે.
સ્વાઈન ફલૂને અટકાવવો મુશ્કેલ છે પરંતુ તેનાથી બચવા લોકોએ રોગપ્રતિકારક શકિત વધારવી જોઈએ શિયાળામાં લીલા શાકભાજી તેમજ વસાણાનો મહત્તમ ઉપયોગ કરવાથી રોગ પ્રતિકારક શકિત વધી શકે. રોગ સામે તંત્ર લાચાર બન્યું છે ત્યારે લોકજાગૃતિ જ મહત્ત્વનું હથિયાર બની શકે.
હોસ્પિટલમાં આજે કોંગ્રેસના ધરણા
આજે સવારે ૮:૩૦ વાગ્યે સાંસદ કુંવરજીયા બાવળિયાની આગેવાની હેઠળ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, સ્વાઈન ફલૂના દર્દીઓને સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરતા નથી અને તેઓને ઉડાવ જવાબ આપી સામાન્ય દવા જ કરાઈ છે.
આજે તબીબોનો સેમિનાર
સ્વાઇફલૂના કેસમાં વધારો થતાં રાજકોટની તબીબી આલમને સજજ કરવા રાજકોટ આઇએમએ દ્વારા તા. ર૪ને રાત્રે ૮:૩૦ વાગ્યે રેડક્રોસ હોલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારના મુખ્ય વકતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. કમલેશ ઉપાધ્યાય રહેશે. મોડરેટર તરીકે ડૉ. પ્રશાંત ત્રિવેદી અને સેમિનારના ટીમ લીડર તરીકે ડૉ. સુનીલ મોટેરીયા રહેશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ભંડેરી ઉપસ્થિત રહેશે. તમે ડૉ. રાજેન્દ્ર લાખાણીની યાદીમાં જણાવાયું હતું.
લોકજાગૃતિ અનિવાર્ય
વર્તમાન સમયમાં તંત્રએ જાહેર સમારોહ તાકીદથી બંધ કરાવવા જોઇએ. પ્રાથમિક સ્કૂલના વિધાર્થીઓ સકંજામાં ન ફસાય તે માટે પાંચ દિવસનું વેકેશન સ્કૂલમાં જાહેર કરવું જોઇએ. જે વિધાર્થીને સામાન્ય શરદી હોઇ તેને શાળામાં પ્રવેશ ન આપી શાળા સંચાલકોએ બાળકની તપાસણી કરાવવા પર ભાર મૂકવો જોઇએ. ---ડૉ. કમલ પરીખ
શિયાળાને કારણે રોગ વધુ પ્રસર્યો છે ત્યારે લોકોએ ઘરમાં સ્વચ્છતા રાખવી જોઇએ. સૂર્યપ્રકાશ ઘરમાં આવે તે માટે બારી-બારણાં ખુલ્લા રાખવા. શકય હોય એટલું સૂર્યપ્રકાશમાં બેસવું. શરીરમાં ટેમ્પ્રેચર રહેશે તો ઓછી અસર થશે. --ડૉ. મહેન્દ્ર ચાવડા (આરએમઓ, સિવિલ હોસ્પિટલ)
લોકોમાં જાગૃત્તિ ઓછી છે હળવાશથી લેવામાં આવે છે જેથી છેલ્લા સ્ટેજે સારવાર લેવા જતાં મૃત્યુનુ પ્રમાણ વઘ્યું છે. સરકારી લેબોરેટરીમાં જ ટેસ્ટ થતાં હોઇ રિપોર્ટ મોડા આવે છે. જેથી દર્દીની હાલત રિપોર્ટ સુધીમાં વધુ કફોડી બને છે ત્યારે સરકારે સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં ટેસ્ટ માટેની મંજૂરી આપવી જોઇએ. -- ડૉ. નિલાંગ વસાવડા
સ્વાઇન ફલૂ સામે રોગપ્રતિકારક શકિત વધારવી જ પડે. આ માટે તકદારીના ભાગરૂપે પૌષ્ટિક આહાર આરોગવો જોઇએ. કસરત કરવી અને માનસિક સ્વસ્થતા કેળવવી જોઇએ અને રોગ લાગુ પડે તો વહેલી તકે સારવાર લેવી અને આઠ દિવસ સુધી અન્ય સાથેનો સંપર્ક તોડી નાખવો જોઇએ.-- ડૉ. દૂધરેજિયા
લોકો જાગૃતિ નહીં કેળવે તો સ્વાઇન ફલૂનો ભોગ બનશે. સામાન્ય કાળજી રોગ સામે રક્ષણ આપી શકે. સારો ખોરાક લેવો, નિયમિત કસરત, શકય હોઇ એટલું અન્ય સાથેનો સંપર્ક ટાળવો, ટોળાંમાં ન જવું.--ડૉ. પારસ શાહ












