લગ્નની સિઝન પૂર્ણ થતાંની સાથે પ્લોટોની બહાર ગંદકી
શુભ મુર્હુત પૂર્ણ થતાં હવે શહેર સહિત જિલ્લાભરમાં લગ્નોનાં પડઘમ શાંત પડી ગયા છે. ડીજેની ધમાલ અને બેન્ડના તાલ સમી જતાં માર્ગોની રંગીન જમાવટ હવે ફિક્કી પડી ગઇ છે. આવા સંજોગોમાં લગ્નો સિઝનમાં ધૂમ મચાવી ગયેલા પાર્ટીપ્લોટની આસપાસ કચરાનો યોગ્ય નિકાલ ન થતાં હવે ગંદકીનું સામ્રાજય જમાવી બેઠા છે.
જેનાં કારણે સ્થાનિક રહીશો ગંદકીની સમસ્યાનો ભોગ બનતાં રોગચાળાનો પણ ભય તોળાઇ રહ્યો છે. મુર્હુતની શરૂઆત થતાં જ ભરૂચનાં પાર્ટી પ્લોટમાં લગ્નોની પડાપડી થઇ રહી હતી. ખૂબ જ ઓછા મુર્હુતના પગલે ઘણા બધા લગ્નો સમેટવાના હોય પાર્ટી પ્લોટ અને વાડી ધારકો પણ ગેલમાં આવી ગયા હતા.
મોટા પાયે ધંધાની જમાવટ કર્યા બાદ માત્ર કમાણી પાછળ ઘ્યાન આપતા ખાણીપીણી અને સાજ - શણગાર માટે વપરાયેલ હારતોરા તથા વધેલા ભોજનના નિકાલમાં કેટલાંક સ્થળોએ બેદરકારી જોવા મળી હતી.
પાર્ટી પ્લોટમાં રિસેપ્સનનાં જમણવારમાં વધારાના એઠવાડને પાર્ટી પ્લોટની બહાર આડેધડ પાછલા બારણે ઠાલવી દેવાતાં કેટલાંક પાર્ટી પ્લોટની આસપાસમાં ભારે દુર્ગંધ મારતો ઘન કચરો અને વહેતા પાણી સ્થાનિક રહીશો માટે માથાનો દુ:ખાવો બની જવા પામ્યો છે.
વળ એઠવાડનાં નિકાલ બાદ આ સ્થળો પર ગાયો અને કૂતરા સહિતનાઓનો જમાવડો થતાં રહિશો અને રાહદારીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. કેટલાંક પાર્ટી પ્લોટ રહેણાંક વિસ્તારમાં આવેલા હોય કચરાનો યોગ્ય નિકાલ ન થતાં સ્થાનિક વિસ્તારોમાં પણ રોગચાળો ફેલાવાનો ભય વર્તાઇ રહ્યો છે. જયારે ભયના માર્યા સ્થાનિક રહીશો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ટાળી રહ્યા છે.












