સુરત એરપોર્ટની કનેક્ટિવિટી વધારવા અવાજો ઊઠવા માંડ્યા
સુરત-બેંગ્લોર- ચેન્નાઇ, જયપુર-કોલકાતા, સુરત-ભાવનગર-મુંબઇ, સુરત-ગોવા વગેરે રૂટની ફલાઇટ માટે ફોસ્ટાની રજૂઆત
લાંબી લડત બાદ સુરત શહેરને અધતન સુવિધાઓથી સુસજજ એરપોર્ટ મળ્યું છે પરંતુ પુરતા પ્રમાણમાં એર કનેકિટવિટી આપવામાં અખાડા કરવામાં આવી રહ્યા હોવાથી સુરતના એરપોર્ટનો પુરતા પ્રમાણમાં ઉપયોગ થઇ શકતો નથી. સુરત શહેરને દેશના અન્ય મુખ્ય શહેરો સાથે એર કનેકિટવિટી મળે એવી માગણી સાથે ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (ફોસ્ટા) દ્વારા નાગરિક ઉયન મંત્રી પ્રફુલ્લ પટેલ સહિતના આગેવાનોને પત્ર લખવામાં આવ્યો છે.
ફોસ્ટાના જણાવ્યા પ્રમાણે સુરત શહેરને લાંબી લડત બાદ કરોડો રૂપિયાના ખર્ચે એરપોર્ટ ફાળવવામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પરથી માત્ર એક દિલ્હીની ફલાઇટ ઊપડતી હોવાથી હાલના સંજોગોમાં સુરત એરપોર્ટ સફેદ હાથી સમાન બની રહ્યું છે. દેશના વિવિધ શહેરોમાં જવા માટે સુરત શહેરમાંથી એર ટ્રાફિક મળતો નથી એવી વાત નથી પરંતુ સુરતને દેશના મુખ્ય ગણાતાં એવાં મુંબઇ, કોલકાતા, અમદાવાદ, ચેન્નાઇ, બેંગ્લોર, જયપુર, ભાવનગર, રાજકોટ વિગેરે શહેરો સાથે કોઇ વિમાની સેવા ફાળવવામાં આવી નથી. દક્ષિણ ગુજરાતમાંથી દર વર્ષે અંદાજે પાંચથી દસ હજાર જેટલા હજયાત્રીઓ પણ વિલાયત જાય છે.
સુરત દેશનાં પ્રથમ હરોળનાં પંદર શહેરોમાં સ્થાન પામે છે અને દુનિયામાં સૌથી વધારે ઝડપથી પ્રગતિ કરનારાં શહેરોમાં સુરતનું સ્થાન છે. ભૌગોલિક રીતે મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા સુરત શહેરને નેશનલ ઉપરાંત ઇન્ટર નેશનલ એરપોર્ટની તાકીદે આવશ્યકતા છે તેમ છતાં આ દિશામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.
.












