વન-ડે શ્રેણીમાંથી યુવરાજ આઉટ
ઘાયલ યુવરાજ શ્રીલંકા સામેની શ્રેણી બાદ બાંગ્લાદેશનો પ્રવાસ ગુમાવે તેવી પણ દહેશત
શ્રીલંકા સામેની વન-ડે ક્રિકેટ શ્રેણી જીતવા આતુર ભારતીય ટીમને સુકાની ધોનીની ગેરહાજરી પછી હવે સ્ટાર બેટ્સમેન યુવરાજસિંઘની ઇજાથી મોટો ફટકો પહોંચ્યો છે. યુવરાજસિંઘ તેની આંગળીની ઇજાને કારણે શ્રેણીની બાકીની બે મેચ ગુમાવશે અને એ ઉપરાંત બાંગ્લાદેશનો પ્રવાસ પણ ગુમાવે તેવું જોખમ પેદા થયું છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના સેક્રેટરી એન. શ્રીનિવાસને મંગળવારે જાહેર કર્યું હતું કે આંગળીની ઇજાને કારણે યુવરાજ વર્તમાન શ્રેણીની છેલ્લી બે વન-ડેમાં રમી શકશે નહીં. શ્રીલંકા સામેની મોહાલી ખાતેની ટ્વેન્ટી૨૦ મેચ દરમિયાન ૧૨મી ડિસેમ્બરે યુવરાજ ઘાયલ થયો હતો અને આ ઇજાને કારણે તે રાજકોટ અને નાગપુરમાં રમાયેલી પ્રથમ બે વન-ડેમાં રમી શકયો ન હતો. તેની ઇજામાં સુધારો થતાં તેને સોમવારે કટકમાં રમાયેલી મેચમાં રમવાની તક મળી હતી જેમાં યુવરાજે ૨૩ રન ફટકાર્યા હતા.
જોકે મંગળવારે તેની ઇજા ફરીથી વકરી હતી અને કોલકાતા ખાતેની ચોથી તથા દિલ્હીમાં રમાનારી પાંચમી મેચમાંથી તેને બાકાત રાખવાની ફરજ પડી હતી. પ્રથમ બે વન-ડેમાં વિરાટ કોહલી યુવરાજના સ્થાને અંતિમ ઇલેવનમાં રમ્યો હતો. ભારત હવે ૨૪મી અને ૨૭મીએ વન-ડે રમશે.
યુવરાજને આગામી સપ્તાહમાં આરામ કરવાની સલાહ આપવામાં આવી છે પરંતુ એ પછી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં બાંગ્લાદેશમાં યોજાનારી ત્રિકોણીય વન-ડે શ્રેણીમાં પણ યુવરાજનું રમવું શંકાસ્પદ બની ગયું છે. બાંગ્લાદેશમાં પણ ભારત અને શ્રીલંકાની ટીમ રમવાની છે.
યજમાન બાંગ્લાદેશ સામેના મુકાબલા અગાઉ પાંચમી જાન્યુઆરીએ ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે અને સાતમીએ ભારત-બાંગ્લાદેશ ટકરાશે. આ શ્રેણીમાં ભારતે બંને હરીફ સામે બે-બે મેચ રમવાની છે અને એ શ્રેણી બાદ ભારત અને બાંગ્લાદેશ વરચે ૧૭મી જાન્યુઆરીથી બે ટેસ્ટની શ્રેણીનો પ્રારંભ થશે. યુવરાજની હાલની સ્થિતિ જોતાં તે બાંગ્લાદેશની ત્રિકોણીય વન-ડે શ્રેણી ગુમાવે તેવી શક્યતા વધારે છે.










