કરોડો રૂપિયાના કામોની બહાલી
રાજય સરકારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની આઠ નગરપાલિકાઓને રૂ. ૪૧ કરોડની ફાળવણી કરી છે. જેમાં સુરેન્દ્રનગર શહેરના વિકાસ માટે ૧૨.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આથી સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શુક્રવારે મોડી સાંજે નગરપાલિકા કચેરી ખાતે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ ખાસ સામાન્ય સભામાં સુરેન્દ્રનગર શહેરના તમામ વિસ્તારોને આવરી લઇને રૂ. ૧૨.૫૦ કરોડની ગ્રાન્ટની દરખાસ્ત મંજૂર કરાઇ હતી.
રાજયસરકારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની આઠ નગરપાલિકાઓને રૂ. ૪૧ કરોડની ફાળવણી કરી છે. આ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર નગરપાલિકાને સૌથી વધુ રૂ. ૧૨.૫૦ કરોડ અને વઢવાણને રૂ. ૭ કરોડની ફાળવણી કરાઇ છે. જેમાં જિલ્લાની મુખ્ય નગરપાલિકા તરીકે સુરેન્દ્રનગરને સ્લમ વિસ્તારમાં સુવિધા આપવા માટે રૂ. ૨.૫૦ કરોડની ખાસ ગ્રાન્ટ અપાઇ છે.
આ ગ્રાન્ટનો શહેરના વિકાસમાં કેવી રીતે કરવો તે માટે નગરપાલિકાના પ્રમુખ જશુભા ઝાલા દ્વારા શહેરના આગેવાનો અને સંસ્થાઓની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શહેરની વિવિધ સંસ્થાઓ અને આગેવાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરના વિકાસ માટે નગરપાલિકા દ્વારા તા. ૧૮ ડિસેમ્બરને શુક્રવારે મોડી સાંજે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ ખાસ સામાન્ય સભામાં પાલિકાના ચીફઓફિસર મનોજકુમાર પાટડિયા, પાલિકાના પ્રમુખ જશુભા ઝાલાની ઉપસ્થિતિમાં ૪૬ થી વધુ ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ઠરાવની ચર્ચાવિચારણાના અંતે શહેરના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં ૨૬મી જાન્યુઆરી-૨૦૧૦ રાજયકક્ષાની ઉજવણી અનવ્યે નગરપાલિકાની તમામ મિલકતોની કલરકામ અને રિપેરિંગ કામ માટે રૂ. ૫૦ લાખની દરખાસ્ત મંજૂર કરાઇ હતી.
શહેરના વિકાસને વેગ આપવા અપીલ
સુરેન્દ્રનગરના તમામ વિસ્તારોનો વિકાસ થાય તે માટે ભેદભાવ વગર ગ્રાન્ટની ફાળવણી કરાઇ છે. સુરેન્દ્રનગર શહેરમાં રાજયકક્ષાની ૨૬મી જાન્યુઆરીની ઉજવણી થનાર હોવાથી તમામ સદસ્યો, પાલિકાના કર્મચારીઓ અને શહેરીજનોને સહયોગ આપી શહેરના વિકાસને વેગ આપવા સુરેન્દ્રનગર પાલિકાના પ્રમુખ જશુભા ઝાલાએ અપીલ કરી છે










