મતદાન ફરજિયાત થતાં ડ્રોઇંગરૂમ પોલિટિકસની ચર્ચા બંધ થશે : મોદી
ગુજરાતે પ્રથમવાર નકારાત્મક મતદાનનો અધિકાર આપ્યો
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજયની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટેની ચૂંટણીઓમાં મતદાન ફરજિયાત બનાવવા માટે ગુજરાત સરકારે કરેલી સંવૈધાનિક પહેલને, ભારતની લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે સીમાચિŽ અને ઐતિહાસકિ પગલું ગણાવ્યું છે. સમગ્ર દેશમાં પહેલીવાર મતદાનને ફરજિયાત બનાવવા ઉપરાંત ગુજરાતે વિશિષ્ટ પગલું લઇને મતદારને નકારાત્મક મતદાનનો અધિકાર આપ્યો છે.
બધા જ ઉમેદવારોની નાપસંદગી કરવાનો તેમજ નારાજગી કે આક્રોશની અભિવ્યકિત કરવાનો અધિકાર ગુજરાતે આપ્યો છે. જેના કારણે ‘ડ્રોઇંગરૂમ પોલીટીકસ’ની નિરર્થક ચર્ચાનો અંત આવશે અને મતદાન કરવું પડશે.
મુખ્યમંત્રીએ ફરજિયાત મતદાનની સંવૈધાનિક જોગવાઇના આ વિધેયકની વિશેષતા પ્રસ્તુત કરતા જણાવ્યું કે પ્રત્યેક મતદાર નાગરિકને અત્યાર સુધી ઉપલબ્ધ ઉમેદવારોમાંથી પસંદગીનો અવસર મળતો હતો પરંતુ ગુજરાતે પહેલીવાર ‘નકારાત્મક મતદાન’નો અધિકાર આપ્યો છે.
મતદાર નાગરિક રાજનૈતિક પક્ષોના પ્રભાવ કે લોભ-પ્રલોભનથી પણ દોરવાશે નહીં અને રાજકીય પક્ષોએ પણ નીતિ અને ઉમેદવારની પસંદગી માટે જનમાનસના નિર્ણાયક પરિબળને કેન્દ્રસ્થાને રાખવું પડશે. યોગ્ય ઉમેદવારોને પ્રોત્સાહન મળશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.
મુંબઇના ૨૬/૧૧ના આતંકવાદી હુમલા પછી જાહેરમાં જે જનઆક્રોશ જોવા મળ્યો હતો તેનો પ્રતિઘોષ તે પછી યોજાયેલી ચૂંટણીઓમાં જોવા મળ્યો નહીં અને મતદાતા નિષ્ક્રિય રહેતા માંડ ૨૩ ટકા મતદાન થયું હતું તેનો આ સંદર્ભમાં ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે ફરજિયાત મતદાન થવાથી ચૂંટણીખર્ચ ઘટશે અને દેશના અર્થતંત્ર ઉપર કાળાંનાણાંની છાયા દૂર થતાં અર્થતંત્રનું પણ શુદ્ધીકરણ થશે. ભારતના લોકતંત્રને વધુ સ્વસ્થ બનાવવા ‘મતદાર કેન્દ્રી’ અને ‘નાગરિક કેન્દ્રી’ લોકતંત્રને મોડ આપવાની શરૂઆત ગુજરાતે કરી છે.












