"ધર્માંતરીતોને અનામતનો લાભ આપવાથી ૨૨ કરોડ દલીતોના હક ઉપર તરાંપ"
ડો. આંબેડકરે બૌધ્ધ ધર્મ અંગીકાર કરતી વખતે અન્ય ધર્મનો આશરો ન લેવા જણાવ્યું હતું : ફકીરભાઈ વાઘેલા
દલિતમાંથી ધર્માંતર કરીને મુસ્લિમ અથવા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા લોકોને શિક્ષણ, નોકરી વગેરેમાં અનામતનો લાભ આપવામાં આવે તો દેશના બાવીસ કરોડ હિઁદુ દલિતોના હક ઉપર તરાંપ આવશે તેવું જણાવી રાજયના સામાજિક ન્યાય અધિકારીતા પ્રધાન ફકીરભાઈ વાઘેલાએ કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે ધર્માંતર થયેલાં દલિતોને અનામતનો લાભ ન આપવાનો સરકારી સંકલ્પ વિધાનસભામાં રજુ કર્યો હતો.
જેને બહુમતીએ પસાર કરાયો હતો. સંસદમાં રજુ થયેલાં રંગનાથન મિશ્રા અહેવાલની અનામત ચાલુ રાખવાની ભલામણોનો સ્વીકાર ન કરવા ગુજરાત સરકારના આ સંકલ્પ દ્વારા અનુરોધ કરવામાં આવશે. વિધાનસભામાં નિયમ-૧૨૦ અંતર્ગત આ સંકલ્પ લાવવામાં આવ્યો ત્યારે કોંગ્રેસના સભ્યોએ વપિક્ષી નેતાની આગેવાનીમાં વોકઆઉટ કર્યો હતો.
સંકલ્પ રજુ કરતા પ્રધાન વાઘેલાએ કહ્યું કે, દલીતમાંથી ધર્માંતર કરીને મુસ્લિમ અથવા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા લોકોને લજો શિક્ષણ, નોકરીમાં અનામત આપવામાં આવે તો રાષ્ટ્રના તાણાવાણાં છિન્નભિન્ન થઈ જશે. તેમણે કોંગ્રેસના આ પગલાંને રાષ્ટ્રવિરોધી ગણાવતા કહ્યું કે, આ પ્રકારનો લાભ આપવા અંગે અનેક વાર વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
અનેક અદાલતોએ આ લાભ આપી ન શકાય તેવું જાહેર કયું છે છતાં કોંગ્રસ દલીતોને બંધારણમાં આવેલાં ૧૫ ટકાના અનામતમાં ભાગલાં પાડી રહી છે. તેમણે કહ્યું કે, ૫૦ ટકાથી વધુ અનામત ન હોવી જોઈએ તેવું નક્કી થયું છે ત્યારે જો હયાત અનામતમાંથી આ ધર્માંતરીત લોકોને લાભ આપવામાં આવે તો દલીતોને અન્યાય થશે અને સિલિંગ વધારવામાં આવે તો સવર્ણોને અન્યાય થશે.
તેમણે વધુમાં કહ્યું કે, વર્તમાન ઓબીસીના ૨૭ ટકાના કવોટામાંથી આદીવાસીમાંથી ધર્માંતરીત થયેલાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓને લાભ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, ૧૯૬૬માં ડો. આંબેડકરે બૌધ્ધ ધર્મનો અંગીકાર કર્યો ત્યારે દલિતોને મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર ન કરવાની સલાહ આપી હતી.
આ અગાઉ સરકારી સંકલપ ગૃહમાં રજુ થઈ શકે કે નહિ, તે અંગે શાસક-વપિક્ષ વચ્ચે વાકયુધ્ધ છેડાયું હતું.વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા કહ્યું કે, સંસદમાં રજુ થયેલો રંગનાથન કમશિનનો અહેવાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારાધીન હોવાથી આ મેટર સબજ્યુડશિ ગણાય છે અને આવી મેટર ઉપર ચર્ચા થઈ શકે નહિ.
અલબત્ત, સંસદીય બાબતોના પ્રધાન અમીત શાહે વળતી દલીલ કરતા કહ્યું કે, સુપ્રીમ કોટેં આ અંગે કોઈ નોટિસ કાઢી નથી કે સુનાવણી હાથ ધરી નથી. વળી, સંસદમાં અહેવાલ રજુ થયા પછી તે જાહેર દસ્તાવેજ થઈ જતો હોવાથી તેની ચર્ચા થઈ શકે. અધ્યક્ષ અશોક ભટ્ટે પણ પોઈન્ટ ઓફ ઓર્ડરને રદ કરતા ગૃહમાં આ સંકલ્પ રજુ કરાયો હતો.










