મકાન પચાવી પાડવાના કેસમાં હાઇકોર્ટની દરમ્યાનગીરી થી આખરે ફરિયાદ નોંધાઇ
હાઇકોટેં ખુદ રજિસ્ટ્રાર જનરલને તપાસના કાગળો પોલીસમાં મોકલી આપવા હુકમ કર્યો હતો આરોપી સંજય ઇન્દ્રમલના જૈનના આગોતરા સુપ્રિમ કોટે પણ રદ કરતા સેશન્સમાં જામીન અરજી
શહેરના મણિનગર વિસ્તારમાં બોગસ દસ્તાવેજો અને બનાવટી સહીઓ મારફતે એક વેપારીનું મકાન પચાવી પાડવા કેસમાં ગુજરાત હાઇકોર્ટની દરમ્યાનગીરીથી આરોપી સંજય ઇન્દ્રમલ જૈન, સુનીતા રાજેન્દ્રકુમાર ત્રિવેદી અને ઉમંગ કે.ચોકસી વિરૂદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. કેસની ગંભીરતા ધ્યાને લઇ ખુદ હાઇકોટે રજિસ્ટ્રાર જનરલને આ ગુનાના તમામ કાગળો પોલીસતપાસ માટે મોકલી આપવા હુકમ કર્યો હતો, જેને પગલે આખરે ફરિયાદ નોંધાઇ હતી.
આ ફરિયાદ સંદર્ભે સંજય જૈને સુપ્રિમ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પણ કોટેં ફગાવી દીધી હતી. દરમ્યાન આરોપી સંજય જૈનની ધરપકડ કરતા તેણે સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી છે, જયારે આ કેસમાં હજુ બાકીના આરોપીઓ નાસતા ફરે છે.
આ કેસની હકીકત એવી છે કે, મણિનગર પૂર્વમાં જશોદાનગર રોડ પર વજિયપાર્ક સોસાયટી ખાતે રહેતા વેપારી રમેશભાઇ ભંવરલાલ જૈને સને ૨૦૦૦માં જવાહર ચોક પાસે રાજેન્દ્રપાર્ક સોસાયટીમાં કમલાબહેન પટેલ પાસેથી વેચાણ-દસ્તાવેજ કરી એક મકાન ખરીદયુ હતુ. જેની નોંધણી પણ સબરજિસ્ટ્રાર કચેરીમાં થઇ હતી.
મિલ્કત ખરીદી વખતે રમેશભાઇના સગા સંજય ઇન્દ્રમલ જૈને સામાજિક કારણોસર વપરાશ માટે તેમની પાસેથી આ મકાન મૌખિક સંમંતિથી લીધુ હતુ અને પાછળથી મકાનનો વહીવટ અને સારસંભાળ રાખવા પાવર ઓફ એટર્ની કરાવી હતી.
પરંતુ ત્યારબાદ આરોપી સંજય જૈનની દાનત બગડતા તેણે મકાન પચાવી પાડવાના ઇરાદાથી કુન્થુસાગર ઓનર્સ એસો.ના સેક્રેટરી સુનીતાબહેન રાજેન્દ્રકુમાર ત્રિવેદી મારફતે વેચાણ દસ્તાવેજ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહી, આરોપીને રમેશભાઇના ઓરીજનલ દસ્તાવેજની જરૂર પડતા કે જે સબરજિસ્ટ્રાર કચેરીમાં જમા પડયો હતો, તે મેળવવા હાઇકોર્ટમાં સંજય જૈને ઉલ્ટાનું રમેશભાઇના નામથી પીટીશન કરી હતી.
પાછળથી આ હકીકતનો પર્દાફાશ થયા બાદ પણ પોલીસ તરફથી કોઇ પગલા નહી ભરાતા છેવટે રમેશભાઇ તરફથી હાઇકોર્ટમાં લેટર્સ પેટન્સ અપીલ કરાઇ હતી. જેમાં હાઇકોર્ટના હુકમના આધારે આખરે ફરિયાદ દાખલ થઇ હતી.












