તોફાનોમાં લઘુમતીઓની સેવાઓ બદલ નેશનલ એવોર્ડ
એમ.એમ.તીરમીજીને રાષ્ટ્રીય લઘુમતી પંચ દ્વારા ‘નેશનલ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો
ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ એમ.એમ.તીરમીજીને રાષ્ટ્રીય લઘુમતી પંચ દ્વારા ‘નેશનલ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.નવી દિલ્હી ખાતે લઘુમતીઓના અધિકાર(
માઇનોરીટી રાઇટ્સ ) વિષય પર યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કેન્દ્રના લઘુમતી બાબતો અન કોર્પોરેટ અને કંપની કાયદા(સ્વતંત્ર હવાલો)ના પ્રધાન સલમાન ખુર્શીદ દ્વારા એડવોકેટ શ્રી તીરમીજીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોમાં લઘુમતીઓના જાન-માલને થયેલી નુકસાની અને આ તોફાનોમાં રમખાણગ્રસ્ત લઘુમતીઓ માટે સતત અને પ્રશંસનીય સેવાઓ આપવા બદલ એડવોકેટ તીરમીજીને આ એવોર્ડ એનાયત કરાયો હતો.
આપણને આ પૃથ્વી પર બીજાના આંસુઓ લૂછવા માટે મોકલવામાં આવ્યા છે: એડવોકેટ તીરમીજી
પોતાને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયા બાદ એડવોકેટ એમ.એમ.તીરમીજીઅ તેમના આભારપ્રવચનમાં જણાવ્યુ હતુ કે, આપણને આ પૃથ્વી પર બીજાના આંસુઓ લૂછવા માટે મોકલવામાં આવ્યા છે. સંસ્કૃત શ્લોકને ટાંકતા તીરમજીએ ઉમેયું હતુ કે, ગાય દૂધ બીજા માટે જ આપે છે, વૃક્ષો પણ અન્યો માટે ફળફળાદિ આપે છે, નદીનો પ્રવાહ પણ બીજાના ઉપયોગ માટે જ છે અને આમ માનવજીવન પણ બીજા માટે જ હોય છે.
કોમવાદના મુદ્દાને અવગણવાના ખતરાને ઉજાગર કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આજે આપણે સૌ જાગીશુ નહી, તો આવતીકાલે ઘણુ મોડુ થઇ ગયુ હશે. રાષ્ટ્રના દુશ્મનો ધર્મના નામે લોકોમાં ભાગલા પાડે છે. આજના મુસ્લીમ યુવકોએ એ યાદ રાખવુ જોઇએ કે, ૧૮૫૭માં બ્રિટીશ સરકાર સામેની ચળવળમાં મુસ્લીમોની નોંધનીય ભૂમિકા રહી હતી. એવા સંખ્યાબંધ મુસ્લીમ અગ્રણીઓ હતા કે, જેમણે દેશની આઝાદી કાજે પોતાની જાન કુરબાન કરી હતી.










