શ્રાવિકાની તપશ્ચર્યા
ચંપા શ્રાવિકા જિનપૂજા અને પ્રતિક્રમણ, સામાયિક અને માળાનાં દૈનંદિત કાર્યો કર્યા કરે. બાદશાહ તે જોયા કરે. એમણે જોયું કે ચંપા ખરેખર ભૂખી રહે છે, ઉપવાસ જ કરે છે અને જીવે પણ છે! બાદશાહ અભિભૂત થઇ જોયા કરે.એમણે ચંપા શ્રાવિકાને બહેન માનીને પૂછ્યું, ‘બહેન, તું ખરેખર દિનરાત ભૂખી રહીને ઉપવાસ કરે છે?’ ચંપા શ્રાવિકાએ કહ્યું, ‘જી.’ બાદશાહે કહ્યું, ‘કિંતુ આવું ઘોર તપ થાય શી રીતે?’ ચંપાના મુખ પર તેજ હતું. તેણે કહ્યું, ‘મારા ગુરુ મહારાજની કૃપાથી!’
ચંપા શ્રાવિકા ફત્તેપુર સિક્રીમાં રહેતી હતી. એ ખૂબ ધાર્મિક અને ઉત્તમ તપસ્વિની હતી. એની ધર્મભકિતની હંમેશાં ચોમેર પ્રશંસા થાય. ચંપા શ્રાવિકાને પોતાના ગુરુ વિજયહીરસૂરિજીમાં પૂરી શ્રદ્ધા હતી. તેઓ ગુજરાતમાં વિચરતા હતા.
ચંપાબહેન તપસ્યા કરે. એક વાર તેણે ૬ મહિના સળંગ ઉપવાસ આરંભ્યા. ગામેગામથી લોકોનાં ટોળેટોળાં તેમનાં દર્શને ઊમટ્યાં. બાદશાહ અકબરના બે મંત્રીઓ થાનસિંહ અને ટોડરમલ બંને ચંપા શ્રાવિકાના ભાણેજ થાય. તેમણે ચંપા શ્રાવિકાનો ભવ્ય વરધોડો કાઢ્યો. બાદશાહ અકબરે આ બધું જોયું. એ ચમક્યા. એમણે પૂછ્યું, ‘આ જૂલુસ શેનું છે?’
‘ચંપાબહેને ૬ મહિનાના ઉપવાસ કર્યા છે.’ તેમ કોઇએ કહ્યું. અકબર બાદશાહે કહ્યું, ‘આ કેવી રીતે બને? ૬ મહિના સુધી ભૂખ્યા રહે તો મરી ન જાય?’
એમણે થાનસિંહ અને ટોડરમલને બોલાવ્યા. તેઓ બાદશાહ સમક્ષ હાજર થયા.
અકબર બાદશાહે પૂછ્યું, ‘આ સ્ત્રીએ ૬ મહિના ઉપવાસ કર્યા છે?’
થાનસિંહ અને ટોડરમલે કહ્યું, ‘હા, જહાંપના.’
બાદશાહે પૂછ્યું, ‘પણ એ બને કઇ રીતે?’
થાનસિંહે કહ્યું, ‘ધર્મના પુણ્યપ્રભાવથી.’
‘એમ!’ બાદશાહનું મન માનતું નહોતું. તેમણે કહ્યું, ‘એને કહો કે મારા મહેલમાં મારી નજર સમક્ષ ઉપવાસ કરે. ખાધા વિના ભૂખી રહે અને હું જોઉ તો માનું!’
ચંપા શ્રાવિકા અકબર બાદશાહના શાહી આવાસમાં રહ્યા.
ચંપા શ્રાવિકા જિનપૂજા અને પ્રતિક્રમણ, સામાયિક અને માળાનાં દૈનંદિત કાર્યો કર્યા કરે. બાદશાહ તે જોયા કરે. એમણે જોયું કે ચંપા ખરેખર ભૂખી રહે છે, ઉપવાસ જ કરે છે અને જીવે પણ છે! બાદશાહ અભિભૂત થઇ જોયા કરે.
એમણે ચંપા શ્રાવિકાને બહેન માનીને પૂછ્યું, ‘બહેન, તું ખરેખર દિનરાત ભૂખી રહીને ઉપવાસ કરે છે?’
ચંપા શ્રાવિકાએ કહ્યું, ‘જી.’
બાદશાહે કહ્યું, ‘કિંતુ આવું ઘોર તપ થાય શી રીતે?’
ચંપાના મુખ પર તેજ હતું. તેણે કહ્યું, ‘મારા ગુરુ મહારાજની કૃપાથી!’
‘અરે! તારે ગુરુ પણ છે?’ બાદશાહે પૂછ્યું.
ચંપા શ્રાવિકાએ નમ્રતાથી હાથ જોડી કહ્યું, ‘જી, મારે ગુરુદેવ છે. તેઓ હમણાં ગુજરાતમાં છે. તેમનું નામ વિજયહીરસૂરિજી છે. તેઓ પુણ્યપ્રભાવશાળી છે. તેમની કૃપાથી આ તપ થાય છે.’
‘ઓહ!’
અકબર બાદશાહે નામ યાદ રાખ્યું, વિજયહીરસૂરિજી મહારાજ.
બાદશાહે વિનંતી કરી તેમને આગ્રા તેડાવ્યા.
વિજયહીરસૂરિજી શિષ્યો સાથે બાદશાહ અકબરના મહેલમાં પધાર્યા. જૈન શાસનની પ્રભાવના કરી. ચંપા શ્રાવિકાએ કરેલા ઉપવાસ-તપશ્ચર્યા બદલ અકબર બાદશાહે ૬ મહિના સુધી કતલખાનાં બંધ રખાવ્યાં.
ઇતિહાસની આવી અનોખી ઘટનામાં એક જૈન નારીનું તપ નિમિત્ત બન્યું. ચંપા શ્રાવિકા ઇતિહાસનું નારીરત્ન છે.
(પુસ્તક ‘પ્રેરક જૈનકથાઓ’માંથી સાભાર)












