વિદ્યાર્થીઓ પર થતાં હુમલાનું કાયમી નિવારણ લાવોઃ મોદી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાથી આવેલા ૧૪ સભ્યોના ઉચ્ચકક્ષાના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજીને ભારતીય અને વિશેષ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ ઉપર ઓસ્ટ્રેલિયામાં વંશીય હુમલાઓની ગંભીર બનેલી સમસ્યાનો કાયમી ધોરણે તત્કાલ ઉકેલ લાવવા, સુરક્ષાના પ્રબંધ અને વિશ્વાસના વાતાવરણનું નિર્માણ કરવા પરામર્શ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ભારતસ્થિત હાઈકમિશનર જહોન મેહાર્થીનના નેતૃત્વમાં કોલીન વોલ્ટર્સ (ઓસ્ટ્રેલિયન ઈન્ટરનેશનલ એજયુકેશન ચીફ) સહિત ઓસ્ટ્રેલિયાની વિવિધ યુનિવર્સિટીઓ તેમજ સરકારના શિક્ષણ અને પોલીસ વિભાગના ૧૪ પદાધિકારીઓ ગુજરાત આવ્યા છે.
મુખ્યમંત્રીએ નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયન હાઈકમિશનર સાથે અગાઉ બેઠક યોજીને ભારતીય વિદ્યાર્થીઓ ઉપર છેલ્લા છ મહિનામાં થયેલા હુમલાઓ અંગે સવિશેષ ચિંતા પ્રદિર્શત કરી હતી અને જે સૂચનો કર્યા હતા તેના અમલ માટે ઓસ્ટ્રેલિયાની સરકારે અપનાવેલા વિધેયાત્મક અભિગમ અને લીધેલાં પગલાંથી મુખ્યમંત્રીને આ પ્રતિનિધિમંડળે માહિતગાર કર્યા હતા.
મુખ્યમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં રહેલા કુલ ભારતીય વિદ્યાર્થીઓમાં વીસ ટકાથી વધારે ગુજરાતીઓ છે અને હુમલાના સંદર્ભમાં, ગુજરાત સરકાર સીધા સંપર્કમાં છે તેની વગિતોથી આ પ્રતિનિધિમંડળને વાકેફ કર્યું હતું અને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસાથે ગુજરાતી વિદ્યાર્થીઓ જવા ઉત્સુક હોય છે ત્યારે ઓસ્ટ્રેલિયન સરકારે વંશીય હુમલાની આ ઘટનાઓને અંકુશમાં લેવા તત્કાલ અસરકારક પગલાં લઈને કાયમી ઉકેલ સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જવું જોઈએ.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રીએ ઓસ્ટ્રેલિયા સરકાર અને ગુજરાત સરકાર સાથે સાતત્યપૂર્ણ સંપર્ક રાખવા ઓસ્ટ્રેલિયા અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક સંબંધો માટે વિદ્યાર્થીઓના વિવિધ કલાવૃંદોના વિનિમય-પ્રવાસો યોજવા અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ભારત અને ગુજરાતથી પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ આવે તે પૂર્વે લેભાગુ એજન્ટોનો ભોગ ના બને તે માટેની સુનિશ્ર્વિત વ્યવસ્થા ગોઠવવા અને ઓસ્ટ્રેલિયામાં હુમલાઓમાં સંડોવાયેલા ગુનેગારોની માનસિકતા અંગે પૂરી તપાસ કરવા ઉપર ખાસ ભાર મૂકયો હતો.










