પ્લાસ્ટિકનું પાપ, ગાયના પેટમાં બને મોત
ગૌવંશને બચાવવા માટે ગૌગ્રામ યાત્રાનું આયોજન કરાઇ રહ્યું છે પરંતુ બીજી બાજુ એક હકીકત એ પણ છે કે પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને આપણે ફેંકેલો કચરો ખાઇને શહેરની સંખ્યાબંધ ગાયોના પેટ પ્લાસ્ટિકના ગોડાઉન બની ગયાં છે જે તેમને મોત સુધી દોરી જાય છે. તેમને બચાવવા માટે ત્રણ કલાક ચાલતા પીડાજનક ઓપરેશન કરવા પડે છે.
દર મહિને ૧૫૦થી વધુ ગૌવંશ પાંજરાપોળમાં આવે છે. નંદિની હોસ્પિટલના ડોકટરોને ગાયોના પેટમાં સરેરાશ ૨૫થી ૩૦ કિલો પ્લાસ્ટિક મળી આવે છે. એક ગાયના પેટમાંથી તો ૭૫ કિલો જેટલું પ્લાસ્ટિક પણ કાઢવામાં આવ્યું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. આ પશુઓને મોતના મુખમાં જતાં બચાવવા માટે ‘મિશન એન્ટી પ્લાસ્ટિક’ શરૂ કરાયું જે હેઠળ ઓપરેશન કરીને ગાયોને બચાવવામાં આવે છે.
ગાયોના પેટમાંથી પ્લાસ્ટિક કાઢવા માટે પેટ પર ચીરો મારીને લગભગ ત્રણ કલાક ચાલતું ઓપરેશન કરવામાં આવે છે અને તેનો ખર્ચ લગભગ રૂ. ૨૫,૦૦૦ આવે છે. તે પછી લગભગ દોઢ મહિના સુધી તેમની સંભાળ રાખવી પડે છે. આવી ગાયો સાજી થઇને ફરી ગાભણી પણ થાય છે, તેમ નંદિની હોસ્પિટલના ચીફ વેટરિનરી ઓફિસર ડો. સુભાષ દેસાઇએ જણાવ્યું હતું.
ગાયને શું અસર થાય?
તેમના જઠરમાં ગરમીને કારણે પ્લાસ્ટિકના ગોટા બની જાય છે. તેમની વાગોળવાની ક્રિયા બંધ થઇ જાય છે અને પાચનક્રિયા મંદ પડે છે. તેમનું છાણ કાળા ઓઇલ જેવું આવે છે.ધીરે ધીરે તે ઘાસચારો ખાવાનું છોડી દે છે. અશકત બનીને મત્યુને શરણે થાય છે.
ગૌમાતાના પેટમાંથી શું નીકળે છે?
- લોખંડનાં ખીલા
- રબરનાં ચપ્પલો
- શેવિંગ બ્લેડ
- ટાયરોના ટુકડા
- ચામડું
- કાપડ
- હેરપિન
- ચલણી સિક્કા
- પાઇપના ટુકડા
- સોય










