દાવાનો ૧૦૧ વર્ષે નિકાલ : ત્રીજી પેઢીએ ન્યાય મળ્યો
જસદણ તાલુકાના કાઠી ગિરાસદારોએ સૌરાષ્ટ્ર સ્ટેટ સામે ઉપજમાં હક્ક મેળવવા દાવા કર્યા હતા. સરકારે ૩૦ લાખ રૂપિયા ૧૯૦૮થી વ્યાજ સહિત ચૂકવવા પડશે
દેશની ન્યાયિક પ્રક્રિયા ધીમી હોવાથી વર્ષો જૂના હજારો કેસ પેન્ડિંગ છે. ચુકાદાની રાહમાં મૂળ દાવેદારની પેઢીઓ બદલાઈ જાય છે. રાજકોટની અદાલતમાં જસદણ તાલુકાના ગિરાસદારોએ ૧૯૦૮માં કરેલા દાવાનો ૧૦૧ વર્ષે નિકાલ આવ્યો છે. કાઠી ગિરાસદારોની તરફેણમાં છ દાવેદારો ને ઉપજના ૩૦ લાખ વાર્ષિક ૬ ટકાના વ્યાજે ચૂકવવાના અદાલતના હુકમ મુજબ સરકારે વ્યાજ સહિત ૮ કરોડ જેટલી રકમ ચૂકવવી પડશે.
સરકાર દ્વારા આ ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારવા તજવીજ શરુ કરવામાં આવી છે.જસદણ તાલુકાના ગઢડિયા, ભાડલા સહિત અલગ-અલગ ગામના વાજસુર, દેસા ખાચર, ગીગા દેસા, રાવત દેસા, માણસુર દેસા, જેઠસુર વાજસુર, કાથળ વાજસુર એમ છ કાઠી ગિરાસદારોને ૧૮૭૯ની સાલમાં રાજસ્થાનની કોર્ટે હક્ક પત્રકમાં વાદીઓને જમીનમાંથી થતી ઉપજના લેવાના હક્ક ઠરાવ્યા હતા.
૧૯૦૮માં તત્કાલિન શાસકોએ ઉપજમાંથી હક્ક આપવાનું બંધ કરી દેતા ૧૯૦૮માં રાજકોટની કોર્ટમાં સૌરાષ્ટ્ર સ્ટેટ સામે દાવા દાખલ કરાયા હતા. આ દરમિયાન દેશ આઝાદ થયો, ગુજરાત રાજયની સ્થાપના થઈ છતાં ઉપરોકત દાવાઓ ચાલુ રહ્યા હતા. અદાલતે ૧૯૭૨માં દાવાને નવા નંબર આપ્યા હતા.
અને ૨૮ ફેબ્રુઆરી ૧૯૭૪માં હુકમ કરી સરકારે ઉપરોકત ગામડાઓમાંથી ૨૪/૧૨/૦૮થી ૧/૯/પ૧ સુધીના ૪૨ વર્ષમાં મેળવેલી ઉપજની આવકનો હિસાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. તેમજ જે હિસાબ રજૂ થાય તેમાંથી ૪ ટકા કોટર્ ખર્ચના, ૧૦ ટકા મેનેજમેન્ટ ચાર્જ બાદ કરી બાકીની રકમ વાદીઓને ચૂકવી આપવા હુકમ કર્યો હતો.
ત્યારપછી કાર્યવાહી ન થતાં તમામ છ દાવા ફાયનલ ડીકી બાકી હતી. પેન્ડિંગ દાવા સંબંધે વાદીઓનું ઘ્યાન જતા ફાઈનલ ડીકી કરી આપવા માટે વર્ષ ૨૦૦૬માં અરજી કરવામાં આવી હતી. આ અરજી રાજકોટ સિવિલ કોર્ટ સિનિયર ડિવિઝનમાં ચાલી જતાં જજ પી.પી. પરમારે દરેક અરજદારને કુલ ૩૦ લાખ જેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસમાં વાદીઓ તરફે બેરિસ્ટર સી.એલ. મહેતા અને સરકારપક્ષે એપીપી અર્જુન પટેલ રોકાયા હતા. સરકારી વકીલે જણાવ્યું હતું કે, ઉપજ અંગેના કોઈ પૂરાવા રજૂ થયા ન હોવાથી હુકમને હાઈકોર્ટમાં પડકારવા માટે લીગલ ડિપાટર્મેન્ટને અભિપ્રાય મોકલવામાં આવ્યો છે.










