ભારત આવવાનું નક્કી નથી : બોલ્ટ
કોમનવેલ્થ ગેમ્સના ચેરમેન સુરેશ કલમાડીના દાવાને સ્ટાર સ્પ્રિન્ટરે નકારી નાખ્યો
કોમનવેલ્થ ગેમ્સના ચેરમેન સુરેશ કલમાડીએ કરેલા દાવાને નકારી નાખીને ત્રણ વખત ઓલિમ્પિકસમાં ચેમ્પિયન બની ચૂકેલા યુસૈન બોલ્ટે જણાવ્યું હતું કે નવી દિલ્હી ખાતે આગામી વર્ષે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં પોતે ભાગ લેશે તેવું ક્યારેય વચન આપ્યું નથી.
૨૦૧૦ની ગેમ્સની આયોજન સમિતિને મોટો આઘાત પહોંચાડીને બોલ્ટના મેનેજર રિકી સિમ્સે જણાવ્યું હતું કે આગામી વર્ષે યોજાનારી ગેમ્સમાં ભાગ લેવા અંગે વર્લ્ડ ચેમ્પિયન એથ્લેટે કોઇ વચન કે ખાતરી આપી નથી, હજુ તો તે આ અંગે વિચારણા કરશે.
બોલ્ટે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા અંગે કોઇ પણ પ્રકારનું વચન આપ્યું નથી તે બાબતને સમર્થન આપ્યું હતું. અગાઉ તાજેતરમાં પોર્ટ ઓફ સ્પેન ગયેલા સુરેશ કલમાડીએ દાવો કર્યો હતો કે ૧૦૦ તથા ૨૦૦ મીટર રેસનો ચેમ્પિયન ખેલાડી બોલ્ટ આગામી ત્રીજીથી ૧૪મી ઓક્ટોબર સુધી યોજાનારી ગેમ્સમાં ચોક્કસપણે ભાગ લેશે. સ્ટાર સ્પ્રિન્ટરે જણાવ્યું હતું કે અત્યારે ભાગ લેવા અંગે કશું કહી શકાય તેમ નથી.










