મહુવાના ચકચારી ખૂન કેસમાં બે આરોપીઓને આજીવન કેદ
ત્રણ વર્ષ પહેલાં મહુવામાં સામાન્ય બોલાચાલીમાં દેવીપૂજક શખ્સને બે દેવીપૂજકોએ જ છરીના ઘા મારી હત્યા કરેલી
મહુવા ફાસ્ટ ટ્રેક કોર્ટ નં.-૪માં ખૂન કેસ માં બે આરોપીઓને કસુરવાર ઠેરવી કોર્ટે આજીવન કેદ સહીતની સજા ફટકારતા કોર્ટ રૂમમાં સન્નાટો વ્યાપી ગયેલ હતો.
મહુવા ખાતે સેક્રેટીયેટ બિલ્ડીંગ પાછળના જજ સાહેબના બંગલા નજીક દેવીપૂજકવાસમાં આજથી ત્રણ વર્ષ પહેલા તા.૧૮/૧૨/ ૨૦૦૬ના રોજ બપોરે સામાન્ય બોલાચાલીમાં બે દેવીપૂજક શખ્સો ચંદુભાઇ કેશુભાઇ અને કેશુભાઇ નાકુભાઇએ બન્નોએ મળી કામદાર કલ્યાણ કેન્દ્ર પાસે રહેતા દેવીપૂજક વિનોદભાઇ શામજીભાઇને તું અમારા ધેર આવતા માણસોને કેમ અટકાવે છે તેમ કહી બિભત્સ ગાળો આપી છરીના ઘા ઝિંકી મોત નિપજાવેલ જે કેસની આજે સુનાવણી થતા આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવેલ.
ફાસ્ટ ટ્રેક કોર્ટ-૪ જજ કે.બી.રાઠોડની કોર્ટમાં ચંદુભાઇ કેશુભાઇ તથા કેશુભાઇ નાકુભાઇ દેવીપૂજકને રજુ કરતા સરકારી વકીલ જે.ડી.સરવૈયાએ સરકાર પક્ષે દલીલો કરી સખત સજાની માંગ કરતા કોર્ટે બન્નો આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવેલ. આજીવન કેદ, રૂ.૫૦૦/- દંડ, દંડ ન ભરે તો ત્રણ વર્ષની વધુ સજા, આઇ.પી.સી. કલમ નં.૫૦૪-૧૧૪ ત્રણ માસની સજા, રૂ.૧૦૦/- દંડ, દંડ ન ભરે તો ૧૫ દિવસની વધુ સજા, બી.પી.એકટ ૧૩૫ - ૩ માસની સજા, રૂ.૧૦૦/- દંડ, દંડ ન ભરે તો ૧૫ દિવસ વધારેની સજા નો હુકમ ફરમાવેલ છે.










