બાળસાહિત્યમાં નવું પાત્ર ‘બાપાલાલ’
આમ તો જીવરામ જોષી કૃત મિયાં ફુસકી અને તભા ભટ્ટના પાત્રો હજુ લોકજીભે છે ત્યારે શહેરના એક પપેટ કલાકારે ચબૂતરાને કેન્દ્રમાં રાખીને ‘બાપાલાલની પરબડી’ બાળનાટકની પુસ્તિકા બાળવાચકો સમક્ષ મૂકી છે.
લેખકે આ સાથે ગુજરાતી બાળસાહિત્યમાં ‘બાપાલાલ’ નામે એક નવું પાત્ર બાળવાચકોમાં રમતું મૂકયું છે. અંગ્રેજી માઘ્યમમાં ભણતા બાળકો માટે ‘બાપાલાલ’સ પરબડીના’ અંગ્રેજી રુપાંતર પ્રાપ્ય છે. સેપ્ટના અપ્સા કોંગ્રેસ પ્રદર્શનમાં આ પુસ્તકના સ્ટોલે એક અલગ જગ્યા ઊભી કરી હતી.
આ અંગે આ પુસ્તકના લેખક મહિપત કવિ જણાવે છે કે ‘પરસેવા માટે ચબૂતરો બનાવતા બાપાલાલની કથા એક વાસ્તવિક કથા છે. આ વાતને ૧૩૮ વર્ષ થયા છે. આ પુસ્તક લખવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે એક સામાન્ય વ્યકિત પણ પક્ષીઓ માટે ચબુતરો બનાવતો હોય તો જીવનમાં દરેક વ્યકિત આ વાર્તા વાંચીને લોકસેવાનું કામ કરી શકે. ઈતિહાસમાં જે લોકોએ લોકસેવા કરી હોય તેમનું સ્મરણ રહેવું જોઈએ.’
આ બાળવાર્તાને નાટકના સ્વરુપમાં રજૂ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના કારંજ વિસ્તારમાં બાપાલાલ નામનો વેપારી પોતાની કપરી પરિસ્થિતિમાં પણ પક્ષીઓ માટે એક સુંદર ચબૂતરો બનાવે છે. આખા પુસ્તકમાં ચિત્રો અને કાર્ટૂનને બદલે પપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પુસ્તકના પ્રકાશક નિલેશ દવે જણાવે છે કે ‘અમારો મુખ્ય ઘ્યેય અમદાવાદના વારસામાં રહેલી ઉદારતાને પ્રગટ કરવાનો છે. અમદાવાદના ૧૨૦ ચબૂતરા આ વાતના ઉદાહરણ છે અને એ વાતને એક પ્રયોગરુપે અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.’










