સાઘ્વીજીઓને કચડનારા ડ્રાઇવરનો ૧૮મીએ લાઇડિટેકશન ટેસ્ટ કરાશે
સપ્તાહ પૂર્વે મહેસાણાથી પરોઢિયે ઊઝા તરફ વિહાર કરી રહેલા એક જ સંસારિક પરિવારનાં ચાર સાઘ્વીજી મ.સા.ને ટ્રકના ટાયર નીચે કચડનાર ટ્રકચાલકને સોમવારે લાઇ ડિટેકશન ટેસ્ટ માટે ગાંધીનગર લઈ જવાયો હતો.
જો કે હાલમાં આ ટ્રકચાલક રિમાન્ડ પર હોઈ આગામી ૧૮ નવેમ્બરે તેનો લાઇ ડિટેકશન ટેસ્ટ કરવાનો એફ.એસ.એલ. સત્તાવાળાઓ દ્વારા નિર્ણય લેવાયો છે, જયારે કલમ ૩૦૪ હેઠળ ધરપકડ કરાયેલા આ ટ્રકચાલકના મહેસાણા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા છે. આ ઉપરાંત આ ટ્રક ચાલકનો સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ ટેસ્ટ કરાશે, આ ટેસ્ટ દ્વારા એ જાણી શકાશે કે આરોપી આ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહી.
ગત તા. ૯મી નવેમ્બરે મહેસાણા નજીક સોનેરીપુરા પાટિયા નજીકથી વિહાર કરી રહેલાં ચાર સાઘ્વીજી મ.સા.ને ટ્રકની અડફેટે લઈ મોત નીપજાવવાના બહુચર્ચિત બનાવના ત્રણ દિવસ બાદ બાડમેરમાં જીપની અડફેટે આદરણીય જૈનાચાર્ય જંબુવિજયજી તથા યુવા મુનિના થયેલા મૃત્યુની ઘટનાથી જૈનસમાજમાં ભારે પ્રત્યાઘાતો પડ્યા હતા.
આ સંજોગોમાં મહેસાણામાં અકસ્માતની સર્જાયેલી ઘટના સાઘ્વીજીઓને ખતમ કરવાનું ષડ્યંત્રના ભાગરૂપે હોવાનું સ્પષ્ટ થતાં જૈન સમુદાયની માગણીને ઘ્યાનમાં રાખી મહેસાણા તાલુકા પોલીસે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ કલમ ૩૦૪નો ઉમેરો કરી તેની ધરપકડ કરી હતી.
રિમાન્ડ પર રહેલા ટ્રકચાલક મોહનલાલને સોમવારે મહેસાણા તાલુકા પી.આઇ. એ.એચ. ચૌધરી સહિત સ્ટાફના માણસો સાથે ગાંધીનગર લાઇ ડિટેકશન ટેસ્ટ માટે લઈ જવાયો હતો. જો કે હાલમાં તે રિમાન્ડ પર હોઈ ટેસ્ટ શકય ન હોવાથી ૧૮થી ૨૧ નવેમ્બર દરમિયાન તેનો લાઇ ડિટેકશન ટેસ્ટ કરવાનો નિર્ણય ત્યાંના સત્તાવાળાઓ દ્વારા લેવાયો છે.
જૈનોને નિશાન બનાવનાર સંસ્થાની માહિતી મગાવાઇ
અમદાવાદના પોલીસ કમિશનર એસ. કે. સાઈકિયાએ શહેરના દરેક પોલીસ સ્ટેશનોને એક સંદેશો પાઠવ્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જૈન સાધુ-સાઘ્વીઆને નડેલા અકસ્માતોની વિગતો એકત્ર કરી રજૂ કરવી. બીજી બાજુ આવા અકસ્માત પાછળ એક ખાસ સંસ્થા કારણભૂત હોવાના આક્ષેપો પણ થયા હોવાથી શાહીબાગ ખાતેની કમિશનર કચેરીની સ્પેશિયલ બ્રાન્ચે આ સંસ્થા વિષે માહિતી એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. જો આ સંસ્થાની કોઈ પણ પ્રકારની ઓફિસ કે પછી આ સંસ્થા સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિની વિગતો સ્પેશિયલ બ્રાન્ચને પૂરી પાડવી.
વાસણા જૈન ઉપાશ્રયમાંથી સાઘ્વીજી ગુમ
વાસણાના સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાંથી ૨૮ વર્ષીય સાઘ્વીજી ૧૪મી નવેમ્બરના રોજ એકાએક ગાયબ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. જો કે વેજલપુર પોલીસને પૂછતાં આ બાબતે હજી તેમને વાસણા સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાંથી કોઈ જાણ ન કરાઈ હોવાનું જાણવા મળે છે.
સાઘ્વીજીના સુરત રહેતા ભાઈ કિરણભાઈ પંડ્યા અમદાવાદ દોડી આવ્યા હતા અને કેટલાક જૈન અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી. કિરણભાઈ પંડ્યાએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, તેમની બહેન સાઘ્વીજી ઓજસ્વિનીબાઈ મહાસતીજી ૯ વર્ષનાં હતાં ત્યારથી જ ઉપાશ્રયમાં અભ્યાસ કરતાં હતાં.
સંબંધિત સમાચાર
* જૈન સાધુ-સાધ્વી અકસ્માત કેસમાં ત્રણ વર્ષની વિગતો આપવા આદેશ
* જૈન સમાજ દ્વારા આવેદનપત્ર
* જૈન સમાજની ચીમકી
* જૈન સમાજમાં રોષ










