રાજ્યના છ હજારથી વધુ વકીલોએ વેલ્ફેર ફંડ સ્કીમનુ સભ્યપદ રિન્યુ કરાવ્યું નથી
નાની બેદરકારીના કારણે સ્વ.વકીલોના વારસદારો વેલ્ફેર ફંડની સહાયથી વંચિત રહે છે, બાર કાઉન્સીલની વારંવારની તાકીદ છતાં હજુપણ રાજ્યના છ હજારથી વધુ વકીલોએ વેલ્ફેર ફંડ સ્કીમનુ સભ્યપદ રિન્યુ કરાવ્યુ નથી, વકીલોની ભૂલનો ભોગ તેમના પરિવારજનોને બનવુ પડે છે .
ગુજરાત બાર કાઉન્સીલની વારંવારની તાકીદ છતાં રાજ્યભરના હજારો વકીલો તેમના વેલ્ફેર ફંડની સ્કીમનું સભ્યપદ રિન્યુ કરાવતા નથી. વકીલોની આટલી નાની અમથી બેદરકારીનો ભોગ તેમના પરિવારજનો બને છે. કારણ કે, વેલ્ફેર ફંડની સ્કીમમાં સભ્યપદ રિન્યુ નહી થવાના કારણે એડવોકેટના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારજનોને ચૂકવાતી સવા લાખ રૂપિયાની સહાય મળતી નથી. આમ, વકીલોની નાની બેદરકારીનો ભોગ તેમના મૃત્યુ બાદ તેમના પરિવારજનો બને છે.
ગુજરાત એડવોકેટ્સ વેલ્ફેર ફંડ-૧૯૬૧ હેઠળની વેલ્ફેર ફંડ સ્કીમ અન્વયે વકીલોના મૃત્યુ બાદ તેમના વારસદારોને સવા લાખ રૂપિયા સહાય પેટે ચૂકવવામાં આવે છે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.આર.ગાંધી, એકઝીકયુટીવ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા અને જીએલએચ કમીટીના ચેરમેન જે.જે.પટેલ સહિતના આગેવાનોની મળેલી બેઠકમાં જે વકીલો મૃત્યુ પામ્યા હોય તેમના વારસદારોની સહાય મેળવવા માટેની ૪૦ જેટલી અરજીઓ આવી છે પરંતુ તે પૈકીના ૧૧ કિસ્સા એવા છે કે, જેમાં મરનાર વકીલોએ વેલ્ફેર ફંડ સ્કીમનું સભ્યપદ રિન્યુ કરાવ્યુ નથી. પરિણામે, આવા સ્વ.વકીલોના કુટુંબીજનો વેલ્ફેર ફંડની સવા લાખ રૂપિયાની સહાયથી વંચિત રહેશે.
ઉપરોકત અગ્રણીઓએ જણાવ્યુ હતુ કે, બાર કાઉન્સીલની વેલ્ફેર ફંડની સ્કીમ હેઠળ રાજયના કુલ ૫૩ હજારથી વધુ વકીલો પૈકીના ૩૨ હજાર વકીલો આ સ્કીમ હેઠળ જોડાયેલા છે. જેમાંથી ૨૦ હજાર વકીલોએ આ સ્કીમમાં તેમનું સભ્યપદ રિન્યુ કરાવવુ પડે તેમ છે. જો કે, હજુ સુધી રાજયના છ હજારથી વધુ વકીલોએ તેમનું સભ્યપદ રિન્યુ કરાવ્યુ નથી.
વેલ્ફેર ફંડની સ્કીમમાં સભ્યપદ રિન્યુ કરાવવાની ફી માત્ર રૂ.૫૦૦ હોઇ અને તે પણ દર પાંચ વર્ષે રિન્યુ કરવાની સરળ જોગવાઇ હોવાછતાં વકીલો નાની અમથી બેદરકારી દાખવે છે, તેનો ભોગ તેમના નિદોઁષ કુંટુંબીજનો બને છે. રિન્યુની માત્ર રૂ.૨૫૦ની મામૂલી ફી સામે સવા લાખ રૂપિયાની સહાય મળતી હોવાછતાં વકીલો ગંભીર બેદરકારી દાખવે છે.
જીએલએચ કમીટીના ચેરમેન જે.જે.પટેલે જે વકીલોએ રિન્યુઅલ ફી જમા ના કરાવી હોય તે તમામને તાત્કાલિક ધોરણે રિન્યુઅલ ફી જમા કરાવી દેવા વકીલઆલમને તાકીદ કરી છે. તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે, જે વકીલો રિન્યુઅલ ફી નહી ભરે તેઓ વેલ્ફેર ફંડની સવા લાખ રૂપિયાની આર્થિક સહાય ઉપરાંત માંદગી વખતે ચૂકવાતી સહાયની રકમ પણ મળવાપાત્ર બનશે નહી.










