જૈન સમાજની ચીમકી
ધમકીભર્યા પત્ર, માર્ગ-અકસ્માતની તપાસનો જવાબ ૪૮ કલાકમાં ન મળે તો ઉગ્ર આંદોલન કરાશે
કથિત માર્ગ અકસ્માતોમાં જૈન સાધુ-સાઘ્વીજી ભગવંતોને નિશાન બનાવવાના ચાલતા ષડ્યંત્ર સામે જૈન સમાજ એક હાથમાં શસ્ત્ર અને બીજા હાથમાં શાસ્ત્ર રાખીને પગલાં લેશે, તેમ પાલિતાણામાં વાવપંથક ધર્મશાળા ખાતે મળેલી વિરાટ ગુણાનુવાદ સભામાં ગચ્છાધિપતિ જૈનાચાર્ય અભયદેવસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું.
ધમકીભર્યા પત્ર અને માર્ગ-અકસ્માતનાં બનાવોની તપાસ ગુજરાત સરકારે ક્રાઇમબ્રાંચને સોંપી છે. તે તપાસનો જવાબ ૪૮ કલાકમાં ન મળે તો જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યભરમાંથી જૈન અગ્રણી અને જૈન ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. ગચ્છાધિપતિ જૈનાચાર્ય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ને ધમકીભર્યોપત્ર મળતા સર્વ જૈનાચાર્યોઅને સાધુ-સાઘ્વીજી ભગવંતો અને સમગ્ર જૈન સમાજમાં ધેરાશોકની લાગણી પ્રવર્તી રહી છે.
બીજી તરફ સમગ્ર રાજ્યમાં નવકારમંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું તો સોમવારે પણ જૈન સાધુ-સાઘ્વીજી ભગવંતોની વિહારયાત્રા નિર્વિધ્ન રહે તેવી માગ ઊઠી છે અને તે માટેના પણ જાપ યોજાયા હતા. તો કેટલાક જૈન અગ્રણીઓએ રવિવારે મળેલી બેઠકમાં જૈન સાધુ-સાઘ્વીજીના વિહાર સમયે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા પણ તેમને સુરક્ષા મળે તેવી માગ કરી હતી. વાવપંથક ધર્મશાળા ખાતે મળેલી ગુણાનુવાદ સભામાં કાળધર્મ પામેલા જંબુવિજયજી મ.સા.ના ગુણાનુવાદ થયા હતા.
જેમાં જણાવાયું હતું કે જંબુવિજયજી મ.સા. મોટી ઉમરે પણ બાળક જેવી સ્ફૂર્તિ તેમજ આગમ જ્ઞાનના જાણકાર અને ૧૮ ભાષાના જાણકાર હોવા છતાં તેમનામાં અપાર નમ્રતા હતી. તેમના કાળધર્મ પામવાથી જૈન સમાજ જ નહીંં પણ સમગ્ર રાષ્ટ્રને તેમની ખોટ પડી છે. તેમણે આપેલા વિચારો જીવનમાં ઉતારી લઇએ તો સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગણાશે.
આ ગુણાનુવાદ સભામાં હર્ષસાગર મ.સા., વિજ્ઞાનપ્રભ મ.સા., સોમવિજયજી મ.સા. સહિત મોટી સંખ્યામાં જૈન સાધુ-સાઘ્વીજી ભગવંતો, પૂર્વ ધારાસભ્ય ભાવિનભાઇ શેઠ, જગદીશભાઇ, જસ્મીન શાહ સહિત મોટી સંખ્યામાં જૈન ભાઇ-બહેનો ઉપસ્થિ રહ્યાં હતા.










