જૈન સાધુ-સાધ્વી અકસ્માત કેસમાં ત્રણ વર્ષની વિગતો આપવા આદેશ
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જૈન સાઘ્વી-સાધુઓને નડેલા અકસ્માતોની વિગતો આપવા પોલીસ તંત્રને આદેશ. એક સંસ્થાની કચેરીઓ અને તેની સાથે જોડાયેલી વ્યકિતઓની માહિતી પણ મંગાવવામાં આવી
મહેસાણા અને રાજસ્થાનમાં જૈન સાઘ્વી- સાધુઓને નડેલા પ્રાણઘાતક અકસ્માતો બાદ જૈન સમાજ તરફથી તેમને અમૂક તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થયા હતા.
આ આક્ષેપોના પગલે તંત્ર સફાળુ જાગી ઉઠયું હતું, અને શંકાસ્પદ સંજોગોમાં જૈન સાઘ્વીઓ અને સાધુઓને નડેલા અકસ્માતોની તપાસ સીઆઈડી ક્રાઈમના એડીજી (એડીશનલ ડાયરેકટર જનરલ) વીવી રબારીને સોંપવામાં આવી હતી.
૧૪મી નવેમ્બરના રોજ અમદાવાદના પોલીસ કમિશનર ઐસ કે સાઈકીયાએ પોતાના રીડર પોલીસ ઈન્સ્પેકટર મારફતે શહેરના દરેક પોલીસ સ્ટેશનોને કંટ્રોલ રૂમ મારફતે એક સંદેશો પાઠવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જૈન સાધુ-સાઘ્વીઓ નડેલા અકસ્માતોની વિગતો દરેક પોલીસ સ્ટેશન પાસે મંગાવી છે.
બીજી બાજુ જૈનોના અકસ્માત પાછળ એક ખાસ સંસ્થાના કારણભૂત હોવાના આક્ષેપો પણ થયા હોવાથી શાહીબાગ ખાતે આવેલી કમિશનર કચેરીની સ્પેશીયલ બ્રાન્ચે આ સંસ્થા વિષે માહિતી એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે.
સોમવારે સવારે પાઠવવામાં આવેલા સંદેશામાં શહેરના દરેક પોલીસ સ્ટેશનને કહેવામાં આવ્યું હતું કે જો આ સંસ્થાની કોઈ પણ પ્રકારની ઓફીસ તેમના વિસ્તારમાં હોય કે પછી આ સંસ્થા સાથે જોડાયેલી કોઈ પણ વ્યકિત જો તેમના વિસ્તારમાં રહેતી હોય તેની સંર્પૂણ વિગતો સ્પેશીયલ બ્રાન્ચને પુરી પાડવી.
સંબંધિત સમાચાર
* જીપની ટક્કરથી જંબુવિજયજી મ.સા. કાળધર્મ પામ્યા
* જંબુવિજયજી કાળધર્મ પામતા જિલ્લામાં શોક
* મુનિ જંબુવિજયજી કાળધર્મ પામતાં જૈનસમાજ શોકગ્રસ્ત










