બાળમનોવિજ્ઞાન સમજવું પણ તપસ્યા છે
મોટા થઈ ગયા પછી બાળપણ વહાલું લાગે છે, પરંતુ કોઈ બાળકને પૂછવામાં આવે તો તે બાળપણને કેદખાનું જ ગણાવશે. બાળકો રાહ જુએ છે કે ક્યારે બાળપણ ખતમ થાય અને ક્યારે તેઓ મોટા થશે. ક્યારેક બાળકો પર શિસ્તનો કોરડો વિંઝાય છે. તેમને લાગે છે કે આમ ન કરો, તેમ ન કરોની રોક-ટોક સિવાય બાળપણમાં કશું નથી.
બાળમનના મનોવિજ્ઞાનને સમજવું પણ એક તપસ્યા છે. શ્રીરામ બાળપણમાં ગુમસુમ રહેતા હતા. તેઓ ગંભીર તો પહેલેથી હતા. દશરથજીને લાગ્યું કે રામ રાજકુમાર છે અને તેમનામાં બાળપણથી જ વૈરાગ્ય ભાવ જાગ્યો છે, તે યોગ્ય ન કહેવાય.
એટલે તેમણે રામને વશિષ્ઠ પાસે મોકલ્યા અને ગુરુ વશિષ્ઠે રામના બાળમનોવિજ્ઞાનને સમજીને તેમને જે જ્ઞાન આપ્યું, તે યોગ વશિષ્ઠના નામે જાણીતું છે. શ્રીકષ્ણે પણ જયારે ઇન્દ્રની પૂજાનો વિરોધ કર્યો, ત્યારે બધાએ તેને બાળહઠ ગણી હતી, પરંતુ મા યશોદાએ તેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું અને કષ્ણની વાતની તરફેણ કરી.
તે જાણતી હતી કે બાળકોનું મનોબળ ક્યારેક ક્યારેક સત્યની અતિ નજીક પહોંચી જાય છે. બાળપણ ઈસામસીહનું હોય કે મોહમ્મદનું કે ધ્રુવ-પ્રહલાદનું, તેમના પાલક સમજી ગયા હતા કે જિંદગી હંમેશાં વિરોધાભાસમાં જ ઊભરી આવે છે.
જેમ બાળકોને બ્લેક બોર્ડ પર સફેદ ચોકથી લખીને ભણાવાય છે, તે સમગ્ર જીવનનું પ્રતીક છે. કાળું હોય તો સફેદ દેખાય. એ રીતે જ શરીરમાં આત્મા પ્રગટ થશે, શૂન્યમાંથી સંગીત પેદા થશે, અંધારામાં જ પ્રકાશ નીકળી આવશે. બાળપણમાંથી જ સમગ્ર જીવનની તૈયારી આપણી સામે આવશે.










