દારૂબંધી ગુજરાતના હિતમાં છે
દારૂબંધીને કારણે રોકાણ આવતું નથી અને ધંધા-વ્યવસાયને ખોટી અસર પડે છે, એ નર્યું જુઠ્ઠાણું છે
તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની હિમાયત કરનારા વધી ગયા લાગે છે. આનો લાભ લેવા દારૂ બનાવનારી કંપનીઓ પોતાની ખીચડી પકાવવાની જહેમત કરી રહી છે ત્યારે દારૂબંધી ગુજરાત રાજયના હિતમાં કેવો અને કેટલો ભાગ ભજવી રહી છે તે જણાવવું હિતાવહ છે.
બ્રિટિશ રાજ વખતે દારૂબંધી જેવી કોઈ કાયદા-કલમ નહોતી ત્યારે નજરે જોયું છે કે મજૂર વર્ગ સાંજે છૂટી એકાદ કલાક દારૂની દુકાનમાં જરૂર ગાળે અને ખિસ્સા ખાલી કરી ઘરે પહોંચે. ઘરે સ્ત્રી અને બાળકો ઘર ચલાવવા પૈસાની રાહ જોઈને બેઠા હોય અને જ્યારે એ લોકો પૈસા માગે ત્યારે તે મજૂર દારૂ પાછળ પૈસા બરબાદ કરી આવ્યો હોય. ત્યારે ‘નબળો માટી બૈરા પર સૂરો’ તેમ દારૂના નશામાં બૈરા છોકરાને ગાળો ભાંડે અને મારપીટ પણ કરે, બાળકો ભૂખ્યા પેટે આંખમાં આંસુ સાથે સૂઈ જાય.
આવા પ્રસંગો લગભગ રોજ બનતા તેનો હું સાક્ષી છું. બીજે દિવસે સવારે જ્યારે તે મિલ મજદૂર ઊઠે અને ભૂખ્યા, નિમાણા બૈરા અને બાળકો જોવે એટલે મનમાં નિશ્ચય કરે કે તે હવે પછી દારૂ નહીં પીવે, પણ જ્યારે સાંજે મિલમાંથી છૂટે એટલે દારૂની ગંધે ગંધે મિલના દરવાજાની અડોઅડ આવેલી કલાલની દુકાનમાં ઘૂસી જાય અને આ સિલસિલો હંમેશાં ચાલુ જ રહે.
એટલે જે દેશમાં ૯૫ ટકા લોકો કેટલું પીવું, કયારે પીવું, શું પીવું, પોતાના ખિસ્સાને પરવડે એટલું પીવું વગેરેથી અજ્ઞાની હોય, અસમજુ હોય એ દેશમાં એ પ્રદેશમાં દારૂબંધી હોવી જ જોઈએ. શું આપણને એમ નથી લાગતું કે ૫થી ૧૦ ટકા ભણેલા-વિદ્વાન વર્ગની ઇચ્છા પોષવા બાકીના લગભગ ૯૦ ટકા લોકોની જિંદગી અને સંસાર બરબાદ કરવા? આ વાજબી ગણાય?દારૂબંધી છે છતાં ગુજરાતમાં દારૂ છૂટથી મળે અને ખૂબ જ પિવાય છે તે તો એક તકિયા કલામ થઈ ગયેલ છે.
હું એમ નથી કહેતો કે ગુજરાતમાં દારૂ નહીં પિવાતો હોય પણ જ્યારે કડક કાયદાઓ હોય ત્યારે આવા નાના મોટા ગુનાઓ બનતા જ રહે છે. કોઈ પણ દેશમાં પણ આવું બને જ છે. જેમ કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ ડ્રગ્ઝની હેરાફેરી શાળાઓમાં પણ થતી રહે છે. એટલે અમેરિકામાંથી આવો કડક કાયદો હટાવી ડ્રગ્ઝની છૂટ આપી દેવી જોઈએ? અરે ખુદ આપણા જ દેશના દરિયાઈ બંદર અને હવાઈમથકોમાં કડક ‘કસ્ટમ’ના કાયદા છે છતાં ‘કસ્ટમ ડયૂટી’ની નાની મોટી ચોરીઓ થતી જ રહે છે એટલે શું ‘કસ્ટમ ડયૂટી’ ઉઠાવી લેવી જોઈએ.
કાયદાનો અમલ સખત રીતે કરવાને બદલે કાયદાને રદ કરવો એ કેટલી બધી હાસ્યાસ્પદ વાત કહેવાય? દારૂબંધી છે એટલે ભેળસેળિયો દારૂ મળે છે અને લોકો મોતના મુખમાં ધકેલાય છે તે વાત તદ્દન પાયા વગરની છે. આપણા દેશની સંસદ અને હોમ મિનિસ્ટ્રીના રજિસ્ર્ટડ રિપોર્ટ જોઈએ તો જણાશે કે અત્યાર સુધીમાં બનાવો જે રાજયમાં દારૂબંધી નથી ત્યાં આવા બનાવો ગુજરાત કરતા વધારે બન્યા છે.
દારૂબંધીને કારણે ગુજરાત સરકાર રૂ. ૧૨૦૦ કરોડની રેવન્યૂ ગુમાવે છે. એ દલીલમાં કોઈ દમ નથી. કારણ કે સમાજના હિત માટે પૈસા મેળવવા માટે સમાજને બગાડવો, સમાજની સભ્યતાનો નાશ કરવો નરી બેવકૂફી છે. સમગ્ર સમાજના કલ્યાણની વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે દરેક મુદ્દાને નફા-નુકસાનના ત્રાજવે તોળી શકાય નહીં.
ગુજરાતમાં દારૂબંધી છે એટલે બહારના રાજયોમાંથી ઉદ્યોગપતિઓ આવતા નથી. ટૂરિસ્ટ ઓછા આવે છે. આ વાત પણ ખોટી છે. આરબ દેશોમાં દારૂબંધી છે છતાં બધા વિકસિત દેશોની કંપનીઓ ત્યાં જાય છે, મોટાં રોકાણ કરે છે, અને ત્યાં સ્થાપિત થવા ગળાડૂબ હરીફાઈ કરે છે.મારો ખુદનો અનુભવ છે કે તમે દારૂ ન પીવડાવો તો તમારી બિઝનેસ ગ્રૂપમાં ઇજજત થાય છે એટલે બિઝનેસને દારૂબંધીને કારણે ખોટી અસર પડે છે, એ એક નર્યું જુઠ્ઠાણું છે.
દારૂબંધીના કારણે ગુજરાતમાં ઔધોગિક શાંતિ છે, ગુજરાતની સલામત રાજયમાં ગણના થાય છે, મજૂરો પગભર થયા છે, વેપાર-ઉદ્યોગમાં પણ બરકત આવે છે.
ભારતમાં કયાંક દારૂબંધી છે, કયાંક નથી, એ બરાબર ન કહેવાય એવી દલીલનો જવાબ આપી શકાય કે અમેરિકામાં પણ રાજયવાર જુદા જુદા કાયદા અમલમાં છે. કેસીનોની છૂટ બધાં રાજયોમાં નથી. મહત્વની વાત એ છે કે કાયદાનું ચૂસ્ત પાલન થવું જોઈએ.
થોડીક વધુ (પરચૂરણ) દલીલો દારૂબંધીની તરફેણમાં :-(૧) જે લોકોએ દારૂ ન પીવો એવું મનમાં નક્કી કરી તેના નિશ્ચયને ડગાવવા જાહેરમાં દારૂના બાર નથી હોતા અને છૂટથી મળતો નથી એટલે કોઈ અડગ નિશ્ચય કરે તો પાળી શકે છે કારણ કે સરળતાથી ઉપલબ્ધિ નથી.
(૨) અને કદાચ છાનેછપને દારૂ મળે તોપણ પોલીસના ડરે વધુપડતું પી જઈને છાકટા થતા નથી એ કારણે સમાજની સુરક્ષા પણ વધે છે.
(૩) આમ છૂપી રીતે મળતો દારૂ મેળવવા મહેનત કરવી પડે છે. એટલે સામાજિક ડરને હિસાબે પણ કદાચ પીવાની તલપ લાગી હોય તોપણ જતી કરે છે.
(૪) દારૂ પીધા વગરનો માણસ પોતાનો સમય પોતાના કુટુંબ સાથે સુમેળપૂર્વક ગાળી શકે છે એ રીતે કુટુંબનું પણ ભલું થાય છે.
એટલે આમ જુઓ તો દારૂબંધીથી ‘ફાયદા હી ફાયદા’ (વિન-વિન) સ્થિતિ જ સજાર્ય છે.
.












