વિજ્ઞાન અને ઇસ્લામ
કુરાન-એ-શરીફ એ દરેક વિષયને આવરી લેતો ગ્રંથ છે. એ નાતે તેમાં વિજ્ઞાનના સિદ્ધાંતોનો પણ ઠેર ઠેર ઉલ્લેખ જોવા મળે છે. આ અંગે વિશ્વમાં વારંવાર વિશદ ચર્ચાઓ થતી રહે છે. ફ્રાંસની આયુર્વેદ વિજ્ઞાન અકાદમીમાં ૯ નવેમ્બરના રોજ ‘કુરાનમાં શરીર વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર’ અંગે વિસ્તૃત સેમિનાર થયો હતો.
એ સેમિનારમાં ડો.મોરીસ બુકેલે ‘કુરાનમાં વિજ્ઞાન અને પ્રજનન’ વિષય પર પોતાનું સંશોધનપત્ર રજૂ કર્યું હતું. વિશ્વમાં થતી આવી ચર્ચાઓ એ બાબત તરફ નિર્દેશ કરે છે કે કુરાન-એ-શરીફમાં જીવન જીવવાની કળા સાથે વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો પણ આધારભૂત તથ્યો સાથે જોવા મળે છે. સૃષ્ટિના સર્જનના વૈજ્ઞાનિક અભિગમને વ્યક્ત કરતા કુરાન-એ- શરીફમાં કહેવામાં આવ્યું છે.
‘તમામ પાલનહાર અલ્લાહે આ ધરતી અને આકાશનું સર્જન છ દિવસમાં કર્યું છે.’
ધરતી અને આકાશની પૃથ્વીના સર્જન પૂર્વેની સ્થિતિનો ચિતાર આપતા એક આયાતમાં કહેવામાં આવ્યું છે,‘શું નાસ્તિકો નથી જાણતા કે ધરતી અને આકાશ પહેલાં પરસ્પર મળેલાં હતાં અને પછી ખુદાએ તેને અલગ અલગ કર્યા.’
ધરતી અને આકાશનું સર્જન કરનાર ખુદાએ ધરતી અને આકાશની સમગ્ર દુનિયાનું એ પછી સર્જન કર્યું હતું. એ અંગે પણ કુરાન-એ- શરીફમાં કહ્યું છે,‘જેણે આકાશ અને ધરતીને બનાવ્યા, તેણે જ ધરતી અને આકાશ વરચે સમગ્ર સૃષ્ટિનું સર્જન છ દિવસમાં કર્યું છે.’
પૃથ્વીના સર્જન પછી રાત અને દિવસના ચક્રને વ્યક્ત કરતા કુરાન-એ-શરીફમાં કહ્યું છે,‘અને તે ખુદા જ છે જેણે રાત અને દિવસ બનાવ્યાં છે. સૂર્ય અને ચંદ્ર સૌ નભમંડળમાં તરી રહ્યા છે અને એ પ્રત્યેક એક એક મંડળ (ગ્રહ) છે.’
પથ્વીના સર્જન પછી ઉત્પન્ન થયેલ જીવસૃષ્ટિની પ્રક્રિયાને કુરાન-એ-શરીફની સુર અજ જુમરમાં વ્યક્ત કરતાં કહ્યું છે,‘શું તમે નથી જોયું કે ખુદા-ઈશ્વરે આકાશમાંથી મેહ વરસાવ્યો. અને પછી ધરતી પર ધારાઓ (નદીઓ) ચલાવી અને પછી તેના દ્વારા વિભિન્ન પ્રકારની ખાધ વસ્તુઓ અને જીવ ઉત્પન્ન કર્યા?’
આ જ વાતને જરા સરળ રીતે રજૂ કરતા એક આયાતમાં કહ્યું છે,‘એ જ ખુદા છે જેણે તમારા માટે ધરતીની પથારી બનાવી છે. તેમાં રસ્તાઓ બનાવ્યા છે. આકાશમાંથી પાણી વરસાવ્યું છે અને તેના દ્વારા તેણે વૃક્ષોનાં જોડાઓ બનાવ્યાં છે. જે એકબીજાથી બિલકુલ ભિન્ન છે.’
જેમ સષ્ટિના સર્જન અંગે કુરાન-એ- શરીફમાં આયાતો છે, એમ જ માનવીના સર્જનની પ્રક્રિયા પણ તેમાં વ્યક્ત કરવામાં આવી છે.
કુરાનમાં માનવશરીરના સર્જન માટે સ્ત્રીના ગર્ભમાં રોપાતા બીજને ‘અલક’ કહ્યું છે અને એ અંગે વિગતે આયાતમાં કહેવામાં આવ્યું છે,‘પછી અમે (ખુદા-ઈશ્વર) એ ‘અલક’ ને બીજારોપણની ક્ષમતા પ્રદાન કરી, પછી એ બીજ પર ધીમે ધીમે માંસનું સ્થાપન કર્યું પછી માંસની આસપાસ હાડકાનું સર્જન કર્યું અને પછી અમે એ માંસ અને હાડકાઓને એક નિશ્વિત રૂપ આપ્યું.
આમ અમે માનવીનું સર્જન કર્યું.’ કુરાન-એ-શરીફમાં પૃથ્વીના સર્જનથી માંડીને માનવીના સર્જન સુધીની આજથી ૧૪૦૦ વર્ષ પહેલાં વ્યક્ત થયેલી આ આયાતો કુરાન-એ-શરીફના વૈજ્ઞાનિક અભિગમને વ્યક્ત કરવા પૂરતી છે. 










