તખ્તેશ્વર વોર્ડના ૨૫ વર્ષ જૂના પ્રશ્નો ૨૫ મિનિટમાં ઉકેલાયા
દિવ્ય ભાસ્કર ગ્રુપના ‘સૌરાષ્ટ્ર સમાચાર’ દ્વારા આયોજિત ‘રૂબરૂ’ કાર્યક્રમમાં રોડ, સફાઈ અને પાણીના વિવિધ પ્રશ્ને ભભૂકેલા જનાક્રોશને સ્થળ પર જ નિકાલ કરી શાંત કરી દેતા નગરસેવકો
લોકો અને શાસક તંત્ર વરચે સેતુ બની વણ ઉકેલાયેલા નાના-મોટા પ્રશ્નોના સ્થળ પર નિકાલ માટે તેવા પ્રયત્ન સાથે દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આજે ‘રૂબરૂ’ કાર્યક્રમનું આયોજન ઘરશાળા ખાતેના હોલમાં કરાયું હતું. જેમાં નવાપરા-તખ્તેશ્વર વોર્ડની પાણી, રોડ, ગટર, પોલીસ, વીજળી સહિતની અણઉકેલ સમસ્યાઓ ખુલ્લા મને ચર્ચાઈ હતી. આજે નવાપરા-તખ્તેશ્વર વોર્ડની સમસ્યાઓ પૈકી ૬૨ ટકા પ્રશ્નોનો સ્થળ પર જ પદાધિકારીઓ અને અધિકારીઓની જાગૃતતાને લીધે નિકાલ આવ્યો હતો.
દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા અગાઉ દક્ષિણ કષ્ણનગર અને બાદમાં ઉત્તર કષ્ણનગર વોર્ડના મોટાભાગના પ્રશ્નોનો ‘રૂબરૂ’ કાર્યક્રમમાં નિકાલ કરાયા બાદ આજે તખ્તેશ્વર વોર્ડ નં.૬ના પ્રશ્નો ચર્ચાયા હતા. જેમાં વાઘાવાડી રોડ, નવાપરા, તખ્તેશ્વર, રૂપાણી, કાળુભા રોડ, મેઘાણી સર્કલથી રબ્બર ફેકટરીનો રોડ, રસાલા કેમ્પ સહિતના વિસ્તારોમાં રહેણાંકી પ્લોટ, ફલેટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ વિ.ની અનેક વિધ સમસ્યાઓની ખુલ્લા મને ચર્ચા થઈ હતી.
આજના રૂબરૂ કાર્યક્રમમાં મેયર રીનાબહેન શાહ, સ્ટેન્ડિંગ કમિટિનાં ચેરમેન અભયભાઈ ચૌહાણ, તખ્તેશ્વર વોર્ડના ત્રણેય કોર્પોરેટરો મેહુલભાઈ વડોદરિયા, મનસુખભાઈ પંજવાણી અને ડો. મીનાબહેન ભટ્ટ ઉપરાંત એલ.બી.આઈ.ના એ.જી.એમ. યતિનકુમાર, પી.જી.વી.સી.એલ., કાળાનાળા સબ ડીવી.ના ડે.એન્જિ. વાય.એમ. યાદવ, મ્યુ. કોર્પો. ના વોટર વર્કસ વિભાગના ડેપ્યુટી એન્જિ. રાણા, દબાણ હટાવ સેલના પી.બી. ત્રિવેદી, સેનેટરી ઈન્સ્પેકટર રોહિતભાઈ સહિતના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી ‘રૂબરૂ’માં પ્રજાની સમસ્યાઓનો નિકાલ કર્યોતો કેટલાંક પ્રશ્નોનો નિકાલ આવશે તેની ચોક્કસ ખાત્રી આપી હતી.
આ વોર્ડના રહેવાસીઓએ રસ્તા, પાણી, સફાઈ, ગટર, સ્ટ્રીટ લાઈટ, અસમાજિક તત્વોની દાદાગીરી, શાળાઓ નજીક બમ્પ મુકવા સહિતના પ્રશ્નોની ઘાટાદાર રજૂઆત કરી હતી. તે પૈકી ૬૨ ટકા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ આવ્યો હતો.
બે વર્ષમાં શહેરમાં તમામ રોડનું નવનિર્માણ : મેયર
તખ્તેશ્વર વોર્ડમાં મોટા ભાગના રસ્તા ટનાટન થઈ ગયા છે પણ રસાલા નવાપરા વિસ્તારમાં હજુ કેટલાંક રસ્તા બિસ્માર હોય તેના પ્રશ્ન આ વિસ્તારના રહેવાસીઓએ આજે ‘રૂબરૂ’ કાર્યક્રમમાં પૂછાતા મેયર રીનાબહેન શાહે એક અત્યંત મહત્વપર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આગામી બે વર્ષના સમયગાળામાં માત્ર આ વોર્ડ જ નહીં પણ સમગ્ર ભાવનગર શહેરના તમામ નાના-મોટા રોડ રિ-કોર્પેટ થઈ જશે.
આજે ‘રૂબરૂ’ કાર્યક્રમમાં રોડનો પ્રશ્ન પૂછાતા માત્ર આ વોર્ડજ નહીં પણ સમગ્ર શહેરનાં તમામ રોડ આગામી બે વર્ષમાં નવનિર્માણ થશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત માટે ‘રૂબરૂ’ કાર્યક્રમ એક માઘ્યમ બન્યો હતો.
નવરાત્રિમાં રોશનીથી ઝળહળશે વાઘાવાડી રોડનું વેલેન્ટાઈન સર્કલ
શહેરના વાઘાવાડી રોડ પર શામળદાસ કોલેજની સામે આવેલા વેલેન્ટાઈન સર્કલને એસ.બી.આઈ. દ્વારા દત્તક લેવામાં આવ્યું છે અને આ અંગે આજે ‘રૂબરૂ’માં બેન્કના એ.જી.એમ. યતિનકુમારે ઉપસ્થિત રહી સર્કલની પાયાની જરૂરીયાત પૂર્ણ કરવા મ્યુ.કોર્પો.ને જણાવતા કોર્પોરેટર મેહુલભાઈ વડોદરિયાએ આ પ્રશ્નના નિકાલની ખાત્રી આપી સાથે આ સર્કલમાં કાયમી લાઈટીંગનો વાયદો માંગતા યતિનકુમારે આગામી નવરાત્રિમાં વેલેન્ટાઈન સર્કલ રોજ રાત્રે રોશનીથી ઝળહળશે તેવી જાહેરાત કરી હતી. આ પ્રસંગે સ્ટે ચેરમેન અભયભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં દસ સર્કલોમાં હાઈમાસ્ક ટાવર નખાયા છે.
ડ્રેનેજ લાઈન ઉભરાતી કાયમી ધોરણે બંધ કરો
ડ્રેનેજ લાઈનની સુવિધા છે. પરંતુ અવાર-નવાર ઉભરાય છે. તાજેતરમાં જ ત્રણ વખત આ લાઈન ઉભરાઈ હતી, તંત્રવાહકો કોઈ ઘ્યાન દેતા નથી. વારંવાર સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવો. એટલી હદે ડ્રેનેજની લાઈન લીકેજનો પ્રશ્ન છે કે, પીવાનું પાણી પણ રહીશો ભરી શકતા નથી. તંત્ર તાકિદના ધોરણે યોગ્ય પગલાં ભરે.- ભદ્રેશભાઈ કનૈયાલાલ
વૃક્ષારોપણની વાતો કરતું તંત્ર ફેન્સીંગ તોડે છે
વાઘાવાડી રોડ પર ઘરથી માત્ર ૩ ફુટ ફેન્સીંગ હતી. ૨૫ વર્ષ પૂર્વે મંજુરી લીધી હતી. તે દબાણના નામે મ્યુ.તંત્રએ હટાવી નાંખી છે. રાજય સરકાર પર્યાવરણ બચાવવા વૃક્ષો વાવવા પ્રોત્સાહન આપે છે. ભારે વાહનો માટે શહેર મઘ્યમાંથી પરિવહનનો સમય નક્કિ કરો. દર મહિને નાના-મોટા અકસ્માતો થાય છે. તો કેટલીકવાર જીવ ગુમાવ્યાનાં દાખલા મૌજુદ છે.- પિયુષભાઈ પારેખ
સફાઈ કામદારો જ કચરાનો ઢગલા કરે છે
રસાલા કેમ્પ નજીક સફાઈ કામદારો જ કચરાના ઢગલા કરે છે. જયારે નગરસેવકોને જાણ કરીએ છીએ ત્યારે કચરો ઉપડી જાય છે. પરંતુ ત્યારબાદ ફરી એની એ જ પરિસ્થિતિ સર્જાય છે. શાળા પાસે જ કચરાના ઢગલાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે, શાળાની આજુબાજુમાં લોકજાગૃતિ માટે તંત્રએ જરૂરી સુચનાવાળા બોર્ડ મુકવા જોઈએ.-અશોકભાઈ કુકરેજા










