ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને ભારતની બહાર ખસેડવાના બીસીસીઆઇના નિર્ણયે હવે રાજકીય રંગ પકડવા માંડયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડનો આ નિર્ણય રાષ્ટ્ર માટે શરમજનક છે તથા કેન્દ્રને જવાબદાર ઠેરવવાના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના આક્ષેપનો જવાબ આપતાં કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલાં રમખાણો પણ રાષ્ટ્ર માટે શરમજનક હતા.
આઇપીએલના મામલે કેન્દ્ર સરકારની થઇ રહેલી ટીકા બાદ ચિદમ્બરમે સોમવારે વળતો ફટકો માર્યોહતો અને બીસીસીઆઇ તથા ભાજપની ઝાટકણી કાઢી હતી. તેમણે આઇપીએલને સ્પોર્ટ્સ અને બિઝનેસનો સમન્વય ગણાવીને કહ્યું હતું કે તેમાં રાજકારણને ભેળવવાની જરૂર નથી. ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતમાં સુરક્ષાની સમસ્યાને ઘ્યાનમાં રાખીને રવિવારે આઇપીએલને વિદેશમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો.
જેના અનુસંધાનમાં ગૃહપ્રધાન ચિદમ્બરમે પત્રકાર પરિષદ બોલાવી હતી અને જણાવ્યું હતું કે બોર્ડના આ નિર્ણય અંગે તેમને કાંઇ કહેવાનું રહેતું નથી પરંતુ આ નિર્ણય માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવાઇ રહી છે. આ પ્રકારનાં નિવેદનોનો ઉત્તર આપવો જરૂરી બની ગયો છે.
આઇપીએલને ભારત બહાર ખસેડવી પડી છે તે રાષ્ટ્ર માટે શરમજનક તેમ કહેનારા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અંગે ગૃહપ્રધાને જણાવ્યું હતું કે ભારતના મોટા ભાગનાં લોકો માને છે કે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલાં રમખાણો પણ રાષ્ટ્ર માટે શરમજનક હતાં. શરમજનક બાબત તો એ છે કે ગુજરાત પોલીસે હાથ ધરેલી તપાસને સુપ્રીમ કોર્ટે ફગાવીને ૧૪ કેસમાં ફેરતપાસ માટે સ્પેશિયન ઇન્વેસ્ટિગેશન ટીમ(સીટ)ની રચના કરવી પડી છે.
ભાજપના અન્ય નેતા અરુણ જેટલીએ એવો આક્ષેપ કર્યો હતો કે આ નિર્ણયથી વિશ્વભરમાં ખોટો સંદેશ પહોંચશે અને કોંગ્રેસશાસતિ રાજયોએ આઇપીએલ ભારતમાં યોજાય તે માટે પૂરતો સહકાર આપ્યો નથી. તેમના જવાબમાં ચિદમ્બરમ્ે જણાવ્યું હતું કે હું જાણું છું કે જેેટલી આક્રમક નિવેદન કરવા માટે જાણીતા છે પણ તેઓ દિલ્હી ક્રિકેટ એસોસયિેશનના પ્રમુખ છે અને તેથી જ આ વખતે તેઓ વધુ આગળ વધી ગયા છે. કદાચ તેઓ ભૂલી ગયા છે કે એનડીએના કેટલાક નેતાઓએ ચૂંટણી સુધી આઇપીએલને મુલતવી રાખવાનો અભિપ્રાય વ્યકત કર્યો હતો.
બીસીસીઆઇના પ્રમુખ શશાંક મનોહરે પણ બોર્ડના આ નિર્ણય માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી. આ અંગે ગૃહપ્રધાને જણાવ્યું કે બોર્ડના સેક્રેટરી એન. શ્રીનિવાસને ચોથી માર્ચે સરકારને એક પત્ર પાઠવ્યો હતો અને તેમાં કહ્યું હતું કે મેચો માટે સુરક્ષા પૂરી પાડવા માટે અમે સરકારને અર્ધ લશ્કરી દળો ફાળવવાનું કહેવાના નથી. શશાંક મનોહર માત્ર રાજય સરકારની જ વાત કરતા હોય તો મારે તેમને યાદ અપાવવું પડશે કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી અંતે રાજય સરકાર પર આવે છે અને આ મામલે રાજય સરકારે લીધેલા નિર્ણયનો તમામે આદર કરવો જોઇએ.
મુખ્યપ્રધાનોએ સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી લેવાની હોય છે. કેન્દ્ર સરકારે તેમના નિર્ણયનો આદર કરવો રહ્યો. દરેક રાજયે સુરક્ષાની ચિંતા વ્યકત કરી હતી અને ૧૬મી મે પછી જ સુરક્ષા પૂરી પાડવા અંગે સ્પષ્ટતા કરી હતી તેમ કેન્દ્રીય ગૃહપ્રધાને ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે ક્રિકેટ માટે ભારત સલામત છે પણ સવાલ માત્ર મેચની તારીખો અને કાર્યક્રમનો હતો. મેં અગાઉ પણ કહેલું છે કે ક્રિકેટ કે અન્ય કોઇ રમત ભારતમાં સંપૂર્ણપણે સલામત છે અને તમામ ખેલાડીઓને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આઇપીએલની ટુર્નામેન્ટ કયા સમયગાળામાં યોજાય છે તે જોવાનું રહે છે.
મંત્રાલયે તમામ યજમાન રાજયોને નવા કાર્યક્રમ અને સુરક્ષા અંગે અભિપ્રાય મોકલવાનું કહ્યું હતું પરંતુ માત્ર ત્રણ રાજય અને એક કેન્દ્ર શાસતિ પ્રદેશે જ ઉત્તર પાઠવ્યા હતા.
સંબંધિત સમાચાર
* ટીમ ઈન્ડિયાની ઈચ્છા, ઈંગ્લેન્ડમાં રમાય આઈપીએલ
* આઈપીએલ ભારતમાંથી આઉટ : ગુજરાતની તૈયારી
* આઈપીએલ તો ભારતમાં જ રમાવી જોઈએ
* આઈપીએલ ‘આઉટ’ : ક્રિકેટપ્રેમીઓ ‘બોલ્ડ’
* આઈપીએલ અંગે હાથ ઉંચા કરતી કોંગ્રેસ
* ભારત બહાર રમાશે આઈપીએલ
* ચૂંટણી વિ. આઈપીએલ આ લડાઈની શી જરૂર?
* શ્રેણી યોજવા માટે આઈપીએલ આયોજકોના ધમપછાડા
* આઈપીએલ અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ
* ચૂંટણી, આઈપીએલ મેચોમાં ત્રાસવાદી હુમલાની શંકા
Name:
Email ID:
Comments:
Code: