Gujarat
Ahmedabad City Ahmedabad City
સ્કૂલરિક્ષાને ટક્કર મારતાં ત્રણ બાળકો ઘાયલ : સાધક કરમચંદ શર્માની ધરપકડ
સાબરમતી પાસેના ચીમનભાઈ ઓવરબ્રિજ ખાતે આસારામ આશ્રમની લકઝરી બસે એક સ્કૂલ ઓટોરિક્ષાને ચગદી નાખતાં રોષે ભરાયેલા લોકોએ બસને આગ ચાંપી દીધી હતી.
લોકોનો રોષ જોઈને બસનો ચાલક અને આસારામનો સાધક કરમચંદ ભોપાલારામ શર્મા નાસી છૂટયા હતા, જો કે પાછળથી સાબરમતી પોલીસે તેની ધરપકડ કરી હતી. અકસ્માત સમયે સ્કૂલ ઓટોમાં ૬ બાળકો બેઠાં હતાં. જે પૈકીના ત્રણ ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.
ઘટનાની હકીકત એવી છે કે ગત તા.૧૧મી જાન્યુઆરીથી મોટેરા ખાતેના આસારામ આશ્રમમાં શિબિર ચાલી રહી છે. બહારગામથી હજારોની સંખ્યામાં ભકતો આવતા હોવાથી આશ્રમમાં છેલ્લાં ૧૨ વર્ષથી સાધક તરીકે રહેતો અને પાંચેક વર્ષથી આશ્રમની બસ ચલાવતો કરમચંદ ભોપાલારામ શર્મા (મૂળ રહે: ઉડસાઈ, હિમાચલ પ્રદેશ) બસ લઈને એસ.ટી. અને રેલવેસ્ટેશને ઊતરતાં સાધકોને લેવા માટે મંગળવારે સવારે આશ્રમેથી નીકળ્યો હતો.
લગભગ સાડાસાત વાગ્યાના અરસામાં તે ચીમનભાઈ ઓવરબ્રિજ ઊતરી રહ્યો હતો ત્યારે તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જતી એક સ્કૂલરિક્ષાને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલરિક્ષા બસના આગળના ભાગે ફસાઈ બસની સાથે છેક બ્રિજના છેડા સુધી ઢસડાઈ હતી. રિક્ષામાંથી બાળકોની ચીસો સાંભળીને રાહદારીઓ રોકાઈ ગયા હતા અને રિક્ષામાંથી ત્રણ સગાં ભાઈ-બહેનો પાયલ ભરત બારોટ ( ઉં.વ. ૯), ખુશી (ઉં.વ.૭) અને રાહુલ (ઉં.વ. ૫)ને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે શાહીબાગ ખાતની કોઠારી હોસ્પિટલમાં ખસેડયા હતા.
બીજી બાજુ સ્થળ પર લોકો એકત્ર થતાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. હજી તાજેતરમાં જ આશ્રમમાં રહેતા માસૂમ ભાઈઓ દીપેશ અને અભિષેકનાં રહસ્યમય મોતનો કિસ્સો યાદ આવી જતાં લોકોમાં રોષ ભભૂકી ઊઠયો હતો અને તેમણે આસારામની બસને આગ ચાંપી દીધી હતી.
આસારામની બસ સળગાવી દેવામાં આવી છે તેવા સમાચાર કંટ્રોલરૂમ પરથી પ્રસારિત થતાં શહેર પોલીસ કમિશનર ઓ.પી. માથુર, ડીસીપી એસ.એમ. કટારા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર ધસી આવ્યા હતા અને સ્થિતિ અંકુશ હેઠળ લીધી હતી. સ્થિતિ વણસે નહીં તે માટે અડાલજ પોલીસે આસારામ આશ્રમ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
સ્કૂલરિક્ષાના ચાલક જિતેશકુમાર વસંતલાલ મિસ્ત્રી (ઉં.વ. ૨૮, રહે: મુકેશ રોહાઉસ, બાપુનગર)એ આ બાબતે સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાબસના ચાલક કરમચંદ શર્માની ધરપકડ કરાઇ છે. સાબરમતીના ઇન્સ્પેકટર મૌલેશ જોશીએ જણાવ્યું હતું કે, બસને આગ લગાડનાર ટોળા સામે બસના ચાલક કરમચંદ શર્માએ પણ ફરિયાદ આપતાં તેમની પણ ધરપકડનાં ચક્રો ગતિમાન કરાયાં છે.
એકસલ તૂટી હોવાનો મને ખ્યાલ નથી : રિક્ષાચાલક જિતેશભાઈ
જિતેશભાઈએ જણાવ્યું હતું કે, તે નારણપુરા ખાતેની મીરામ્બિકા સ્કૂલનાં બાળકો માટે સ્કૂલવધa રિક્ષા હંકારે છે. મંગળવારે સવારે તે શાહપુર દરવાજા બહાર રહેતા ભરતભાઈ બારોટનાં બાળકો- ૪થા ધોરણમાં ભણતી પાયલ, બીજા ધોરણમાં ભણતી ખૂશી અને ૧લા ધોરણમાં ભણતા રાહુલ-ને લઈને શાહીબાગ આવ્યો હતો. ત્યાંથી તેણે કપાલી અને પરલીને લીધાં હતાં. ત્યારબાદ તે ધર્મનગર ગયો હતો અને મંથનને લીધો હતો. તે પછી તે નવાવાડજમાં જયનમ અને રિયાને લઈને મીરામ્બિકા સ્કૂલે જવાનો હતો, પરંતુ ચીમનભાઈ બ્રિજ ઊતરતો હતો ત્યારે પાછળના ભાગેથી તેને જોરદાર ધડાકો સંભળાયો હતો. તેણે કહ્યું હતું કે રિક્ષાની એકસલ તૂટી હોવાનો તેને ખ્યાલ નથી.
રિક્ષાની એકસલ તૂટી જતાં બસમાં આવી ગઈ
બસચાલક કરમચંદે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે તેની બસની આગળ એસ.ટી. બસ હતી. રિક્ષાના આગળના વ્હીલની એકસલ નીકળી જતાં તે ડાબી બાજુ ખેંચાઈ હતી અને બસમાં આવી ગઈ હતી.
બસને બહારથી આગ લગાડાઈ : એફએસએલ
એફએસએલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, બસને બહારના ભાગેથી આગ લગાડવામાં આવી છે. આગ બસમાં એન્જિનના ભાગેથી નથી લાગી. આ આગ લગાડાઈ છે. પરિક્ષણ બાદ કયું જલદ્ પ્રવાહી વપરાયું છે તે સ્પષ્ટ થશે.
Name:
Email ID:
Comments:
Code: