Specials
Woman Bhaskar Woman Bhaskar અસલામતી, આત્મવિશ્વાસનો અભાવ અને પોતાની જાતને ઓછી મહત્વની મૂલવવાને કારણે આ સમસ્યા સ્ત્રીઓને સતાવતી હોય છે, જે કયારેક રોગનું સ્વરૂપ લઇ લે છે.
સ્ત્રીનો એ સ્વભાવ છે કે જેને એ ચાહે તેને અનહદ ચાહે. તે માટે ગમે તે ભોગ આપતાં પણ ન અચકાય, પરંતુ પ્રેમ કહો કે લાગણી- તેનો અતિરેક કયારેય ન થવો જોઇએ.
ભલે એ લાગણી કોઇ વ્યકિત પ્રત્યેની હોય કે પછી કંઇ વસ્તુ પ્રત્યેની અતિરેક કાયમ હાનિકારક નીવડે છે
ઘણી વાર નાનાં બાળકો પોતાની કંઇ વસ્તુ ન આપવા માટે જીદ કરે છે. આવું વર્તન કયારેક મોટાઓમાં પણ જોવા મળે છે. કોઇ વ્યકિત કે વસ્તુવિશેષ માટે મોટી ઉમરની વ્યકિતઓ એટલી બધી પઝેસિવ હોય છે કે વાત ન પૂછો.
ખાસ કરીને મહિલાઓ તો પોતાના કેટલાક સંબંધો, ચીજ-વસ્તુઓ બાબતે વધારે પઝેસિવ હોય છે. જેના કારણે ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. છતાં સ્ત્રીઓ પોતાનો સ્વભાવ બદલી નથી શકતી. આવું કેમ?
ઘણી વાર આપણે કોઇ વ્યકિત કે વસ્તુ પ્રત્યે વધુ પડતા પઝેસિવ હોઈએ છીએ, જેના દૂરગામી પરિણામો ઘાતક નીવડે છે. આ પઝેસિવનેસ શું છે અને સ્ત્રીઓમાં કેમ તે વધારે હોય છે? તેના વિશે કેટલીક જાણીતી મહિલાઓનું શું કહેવું છે?
પઝેસિવ હોવા અંગે અમદાવાદનાં જાણીતા બિઝનેસવુમન રૂઝાન ખંભાતાનું કહેવું છે. ‘હું કોઇ પણ વ્યકિત બાબતે એટલી બધી પઝેસિવ નથી રહેતી કે જેથી ભવિષ્યમાં મને અથવા બીજા કોઇને મુશ્કેલી પડે. સંગ્રહવૃત્તિની આદત મારામાં પણ છે.
હું નોનલિવિંગ થિંગ્સ જેવી કે કપડાં, પર્સ વગેરેનો સંગ્રહ કરું છું, પણ તેના પ્રત્યે પઝેસિવ નથી. હા, મારી કાર અંગે ખૂબ પઝેસિવ છું. બીજી કોઇ પણ કાર ભલે વાપરું, પણ મારી એ કાર તો હું રાખું જ છું. એ સિવાય હું ડીટેચમેન્ટમાં જ માનું છું. વધુ પડતું અટેચમેન્ટ દુ:ખ ઊભું કરે છે.
સ્ત્રીઓ વધારે પઝેસિવ હોવા પાછળ આત્મવિશ્વાસનો અભાવ, અસલામતી અને પોતાની જાતને ઓછી મહત્વની મૂલવવાની વૃત્તિ જવાબદાર છે. વધારે પડતી પઝેસિવનેસ તમારી પર્સનાલિટીમાં નેગેટિવ શેડ ઉત્પન્ન કરે છે. ’
આવો સ્વભાવ છે સ્ત્રીનો. એ કયારેક કોઇ વ્યકિત અંગે પઝેસિવ હોય છે, તો કયારેક પોતાની કોઇ વસ્તુને લઇને પઝેસિવ હોય છે. પઝેસિવ સ્વભાવ હોય તેમાં કંઇ ખોટું નથી, પણ વધારે પડતા પઝેસિવ બનવાના ગેરફાયદા વિશે આપણે વિચારતા નથી.
સંબંધમાં વધારે પડતા પઝેસિવ બનવાથી કયારેક સંબંધ બંધનરૂપ બની જાય છે, તો વસ્તુ ભલે સાવ સામાન્ય કેમ ન હોય, તે ન મળે ત્યારે દુ:ખ થાય છે. આવી પરિસ્થિતિ ઊભી થાય તેના બદલે શરૂઆતથી જ આપણી ભાવનાઓ પર નિયંત્રણ રાખીએ એ વધારે હિતાવહ રહે છે.
ઓવર પઝેસિવનેસ તમારી પર્સનાલિટીમાં નેગેટિવ શેડ ઉત્પન્ન કરે છે.
આપણે સ્વયંને સમજીએ, ઓળખીએ, તો જ બીજાને સમજી, ઓળખી શકીએ.
‘દરેક રીલેશનમાં પર્સનલ સ્પેસ આપવી જોઇએ’
સાઇકિયાટ્રિસ્ટ ખ્યાતિ મહેતલિયા કહે છે, ‘જો કોઇ વ્યકિત વિશે પઝેસિવ હોવાની વાત કરીએ, તો દરેક રીલેશનમાં પર્સનલ સ્પેસ આપવી જોઇએ. કોઇ પણ વ્યકિત માટે વધુ પડતા પઝેસિવ રહેવાથી નેગેટિવ પરિણામ આવે છે. હા, વસ્તુ માટે પઝેસિવ રહેવાનું એક કારણ વસ્તુની સાચવણી હોય છે.
પોતે જે રીતે કોમ્પ્યૂટર, વ્હીકલ, મોબાઇલ વગેરે વાપરે છે, તે રીતે બીજા વાપરશે તેની ખાતરી નથી હોતી અને તેથી ઘણાને ગમતું નથી. હવે ડીટેચમેન્ટની વાત કરીએ તો, રીલેશનમાં ડીટેચ થવા માટે પોતાની જાત પર ફોકસ કરવાની જરૂર છે. બીજાની ખુશી વિશે વિચારીને વર્તીએ.’
‘સ્ત્રીઓની પ્રાયોરિટી બદલાતી રહે છે’
સુરતની જાણીતી ‘અનિસ’ સંસ્થાનું સંચાલન કરતાં અને કન્ઝયુમર કોર્ટનાં જજ પેનલ મેમ્બર ગીતાબહેન શ્રોફ કહે છે, ‘હું સૌથી વધારે મારા કામ પ્રત્યે પઝેસિવ છું.
હા, મારા લગ્ન થયા ત્યારે શરૂઆતમાં હું મારા પતિ પ્રત્યે પઝેસિવ હતી, પછી બાળકો પ્રત્યે, પણ દરેક સ્ત્રીના જીવનમાં થોડા થોડા સમયે પ્રાયોરિટી બદલાતી જાય છે.
સ્ત્રી વધારે પઝેસિવ હોવાનું કારણ એ છે કે એના જીવનનો ઉદ્દેશ એનો પતિ, પરિવાર હોય છે. આજે જો કે સ્ત્રીઓના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે. તમે કદાચ હવે પછીની જનરેશનને પૂછશો તો તેમનો જવાબ હશે કે અમે અમારા કામ અંગે પઝેસિવ છીએ. કોઇ નિર્જીવ વસ્તુ પ્રત્યે હું બિલકુલ પઝેસિવ નથી.’
‘દરેક બાબતમાં બેલેન્સ હોવું જોઇએ’
કેલોરેકસ ફાઉન્ડેશનનાં ચેરપર્સન પૂજા શ્રોફ કહે છે, ‘અમે જે ફાઉન્ડેશન ચલાવીએ છીએ, તેના અંતર્ગત આઠ-નવ સ્કૂલનો સમાવેશ થાય છે. હું પઝેસિવ સ્વભાવની બનું તો મને ન પોસાય. હા, હું મારા દસ વર્ષના દીકરા અદ્વૈત માટે પઝેસિવ જરૂર છું, પરંતુ એટલી બધી નહીં કે એનો યોગ્ય વિકાસ ન થાય.
સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાના કપડાં, ઘરેણાં, કોસ્મેટિકસ વગેરે અંગે પઝેસિવ હોય છે, પણ મને માત્ર ઘડિયાળનો શોખ છે. જો કે તે અંગે હું પઝેસિવ નથી. મારા દીકરા બાબતે હું પઝેસિવ જરૂર છું, પણ હું એને એવી રીતે ઉછેરી રહી છું કે એ મોટો થાય પછી એ પોતે જ સમજી શકે કે માતા અને પત્ની કે ગર્લફ્રેન્ડનું આગવું સ્થાન છે.
પઝેસિવ હોવું એને બીજા શબ્દોમાં કહીએ તો, ‘એકસટેન્શન ઓફ લવ’. દરેક બાબતમાં બેલેન્સ હોવું જોઇએ, પછી તે કોઇ વ્યકિત સાથેનો સંબંધ હોય કે વસ્તુ પ્રત્યેનો લગાવ.
સ્ત્રીનો સ્વભાવ લાગણીશીલ હોવાથી એ કોઇ પણ વ્યકિત કે વસ્તુ અંગે પઝેસિવ બની જાય છે, જે ભવિષ્યમાં હાનિકારક જ નીવડે છે.’
‘મારો સ્વભાવ વધુ સંવેદનશીલ છે’
અમદાવાદનાં જ ભૂયંગદેવ વિસ્તારમાં રહેતાં ગીતાબહેન પટેલ ગહિણી છે અને આ અંગે તેમનું કહેવું છે, ‘મારી બે દીકરીઓ પાયલ અને કોમલ માટે હું ખૂબ પઝેસિવ છું. પાયલ યુ.કે.માં ભણે છે. દીકરીઓને ભવિષ્યમાં સાસરે મોકલવી પડશે એ વિચારમાત્રથી મારી આંખમાં આંસુ આવી જાય છે.
અલબત્ત, તેનું એક કારણ મારો સંવેદનશીલ સ્વભાવ પણ હોઇ શકે. મારી દીકરીઓ ઘણી વાર મને સમજાવે છે કે હું કેમ આમ વારંવાર રડતી હોઉ છું? તેમને હું કઇ રીતે સમજાવું?
મને ખબર છે કે દીકરીઓનાં લગ્ન તો કરવાનાં જ છે. ત્યારે મારી શી હાલત થશે તે વિશે વિચારીને મેં તો તેમના લગ્ન સાદાઇથી જ કરવાનું નક્કી કર્યું છે જેથી કન્યાદાન વગેરે પ્રસંગનો સામનો કરવાનો સમય જ ન આવે.’
આલેખન : શેફાલી પંડયા ‘અમી’
તસવીર : વિજય આચાર્ય (અમદાવાદ), રીતેશ પટેલ (સુરત)
Name:
Email ID:
Comments:
Code: