Gujarat
Ahmedabad City Ahmedabad City ચાલુ મહિનાના અંતમાં રાજસ્થાનમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાત કોંગ્રેસના આશરે ૨૫થી વધુ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે દિલ્હી ખાતે યોજેલી બેઠકમાં ગુજરાતના સિનિયર નેતાઓને પ્રચારકાર્યમાં જોતરાઈ જવા આદેશ કર્યો છે. સંભવત: ૨૧મી નવેમ્બર પછી પ્રદેશપ્રમુખ, વિરોધપક્ષના નેતા, પૂર્વ નેતા સહિતના આગેવાનો રાજસ્થાનમાં જાહેરસભા અને રેલીઓ ગજાવશે.
ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાન કોંગ્રેસના સિનિયર નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા. જો કે તેમના પ્રચારથી કોંગ્રેસને કોઈ ફાયદો થયો ન હતો. હવે જયારે રાજસ્થાન અને મઘ્ય પ્રદેશમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પાડોશી રાજયોમાં ગુજરાતના નેતાઓને જોતરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર અંગે પૂછતાં કોંગ્રેસ પ્રવકતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, હાઇકમાન્ડ દ્વારા છેલ્લા છ-આઠ મહિનાથી રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી છે.
અગાઉ ગુજરાતના નેતાઓને સર્વેની જવાબદારી સોંપાઈ હતી. ત્યારબાદ નિરીક્ષક તરીકે કેટલીક નિમણૂકો કરવામાં આવી હતી. હવે ચૂંટણીપ્રચારની કામગીરી સોંપવામાં આવશે. પ્રચારકાર્યમાં મોઢવાડિયા ઉપરાંત કેન્દ્રીય કાપડપ્રધાન શંકરસિંહ વાધેલા, વિરોધપક્ષના નેતા શકિતસિંહ ગોહિલ, પ્રદેશપ્રમુખ સિદ્ધાર્થ પટેલ, પૂર્વ સાંસદ રાજુ પરમાર, રાજસ્થાન-ગુજરાતની સરહદે આવેલા વિસ્તારોના કોંગી ધારાસભ્યો મુકેશ ગઢવી વગેરેનો સમાવેશ થાય છે.
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અને ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ૨૧મી સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચાઈ જશે. ત્યારબાદ પ્રચારકાર્ય તેની ચરમસીમાએ પહોંચશે ત્યારે ગુજરાતના નેતાઓ જાહેરસભા-રેલીઓ ગજાવશે. જો કે કયા આગેવાનોને કયો વિસ્તાર સોંપાશે તે અંગેનો કાર્યક્રમ એઆઇસીસી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જે આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસને મોકલવામાં આવશે.
Name:
Email ID:
Comments:
Code: