Gujarat
Surat City Surat City બેંક દ્વારા બે દિવસમાં ૫૮૬૦ થાપણદારોને રૂ. ૫૭.૭૩ લાખનું ચુકવણું થયું
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપ. બેંકના સુરત સર્કલની બ્રાંચમાં થયેલાં ધિરાણો વધુ માત્રામાં સલવાયાં છે. જેમા ઘણાં ખરાં ટેકસટાઇલ જૂથોમાં સલવાયાં છે. બેંક દ્વારા અંદાજે રૂ. ૨૬૪ કરોડનાં ધીરાણ થયાં છે. જે પૈકીના ૬૫ ટકાથી વધુ ધિરાણ સુરત સર્કલમાં થયાં છે.
જોકે, બેંક વર્તુળ મુજબ, બેંકનાં ફસાયેલાં ધિરાણોનું પ્રમાણ સુરત સર્કલની બ્રાંચોમાં વધુ છે. મોટા રકમનાં ધિરાણો સુરત સર્કલના ટેકસટાઇલ અને ફાર્મા ક્ષેત્રની પેઢીઓમાં સલવાયાં છે.
જે અંગે સુરત સર્કલના ઇનચાર્જ રિજિયોનલ મેનેજર પી.એમ. મહેતાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પાંચ થી છ પેઢીઓમાં કરોડોનાં ધિરાણો સલવાયાં છે. જેમાં ફાર્મા અને ટેકસટાઇલ જૂથો અગ્રસ્થાને છે.
અંકલેશ્વરની જયસ્વાલ ફાર્મામાં રૂ. ૨૨ કરોડ, સુરતની આઇસી ગાંધી ગ્રુપની મિલો. યુનિટમાં રૂ. ૧૬ કરોડ, સુરતના વરુણ ડાઇંગ એન્ડ કેમિકલ્સમાં રૂ. ૧૪ કરોડ, ગોયાણી રેયોન્સમાં રૂ. ૭ કરોડ તથા દરિયાની ગ્રુપમાં રૂ. ૪.૫ કરોડની મોટી રકમનાં ધિરાણો ફસાયાં છે.
આ ઉપરાંત સુરતના વિજય લુંગીવાળા ગ્રુપમાં રૂ. ૭૫ લાખ, વિનાયક રિફાઇનરી (વ્યારા)માં રૂ. ૫૦ લાખ, તથા ગ્રોઅર ગ્રુપમાં રૂ. ૨૦ લાખનાં ધિરાણ ફસાયાં છે. બેંકનાં સૂત્રો તથા અગ્રણીના જણાવ્યા મુજબ બેંક દ્વારા લોન રિકવરીના પ્રયત્નો લાંબા અરસાથી હાથ ધરવામાં આવ્યા છે. સલવાયેલાં ધિરાણો અને ઊચા એનપીએ છતાં બેંકની આર્થિક સ્થિતિ મજબૂત છે.
ઉપરાંત બેંકને કયારેય કલીયરિંગ હાઉસમાં તકલીફ પડી નથી. જયારે મુંબઇનું જાણીતું ગ્રુપ બેંકમાં રૂ. ૧૫૦ કરોડનું રોકાણ કરવા તૈયાર છે. જે તમામ બાબતો અંગે આરબીઆઇ સમક્ષ સ્પષ્ટતા કરી તાકીદે અંકુશો ઉઠાવવા રજૂઆત કરવામાં આવી છે. જે મુજબ નજીકના ભવિષ્યમાં અંકુશો ઊઠી જવા માટે બેંક આશાવાદી છે.
- બેંકનું બે દિવસનું ચૂકવણું
બેંક દ્વારા સોમવારના રોજ ૩૧૪૦ ખાતેદારોને રૂ. ૩૧.૪૦ લાખ તથા મંગળવારના રોજ ૨,૭૪૦ ખાતેદારોને રૂ. ૨૬.૩૩ લાખ મળી કુલ રૂ. ૫૭.૭૩ લાખની રકમ ચૂકવવામાં આવી છે.
Name:
Email ID:
Comments:
Code: