બિહારમાં માઓવાદીઓએ લખીસરાઈ જિલ્લામાં આજે વહેલી સવારે ભાલુઈ હોલ્ટ સ્ટેશન નજીકના રેલ્વેટ્રેકને વિસ્ફોટ કરીને ઉડાવી દીધો હતો. જેના કારણે પટણા-હાવડાની મેઈન પર ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી.
રેલ્વેસૂત્રોના જણાવ્યાં મુજબ આજે વહેલી સવારે લગભગ 2 વાગ્યાની આસપાસ ભાલુઈહોલ્ટ નજીક કેટલાક અજાણ્યાં હથિયારધારી માઓવાદીઓએ અપ અને ડાઉન એમ બન્ને લાઈનો વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી.આ ઉપરાંત પૂર્વ મધ્ય રેલ્વે સીપીઆરઓ એ.કે.ચંદ્રાએ કહ્યું કે વિસ્ફોટનો અવાજ સાંભળીને નજીકના ગ્રામવાસીઓએ ઘટના સ્થળે જવાનો પ્રયત્ન કરતા તેમના ઉપર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જો કે આ બદલ કોઈ જાનહાનિના અહેવાલો નથી.
વધુમાં તેમણે કહ્યું કે આરપીએફ અને જીઆરપીના કર્મીઓ બનાવ બન્યા બાદ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને હાલ ટ્રેકને પુર્ન સ્થાપિત કરવાનું કામ ચાલુ છે. આ દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલો અપ ટ્રેક ઝડપથી કાર્યરત થઈ જાય તેવી સંભાવનાઓ છે. જ્યારે ડાઉન લાઈન કાર્યરત થતા થોડો સમય લાગશે.
બનાવના પગલે દાનાપુર અને અસન્સોલ ડીવીઝનો અંતર્ગત 15 જેટલી ટ્રેનોને જે તે સ્થળે સ્થગિત કરી દેવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે આ અગાઉ માઓવાદીઓએ ગત મહિને પોતે જ આપેલા બંધના એલાન દરમિયાન ભાલુઈ હોલ્ટ ટ્રેકને ઉડાવી માર્યો હતો.
Name:
Email ID:
Comments:
Code: